વડોદરા,મોરબીની શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ માવજીભાઈ વિરમગામા વડોદરામાં ડભોઇ રોડ સોમા તળાવ ચાર રસ્તા પાસે ટાઇલ્સ અને સેનેટરી નો શોરૃમ ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે હું તથા મારા વેપારી મિત્રો અરવિંદભાઈ બાવરવા, રાજેશભાઈ મેરજા તથા રોહિતભાઈ કૈલા કાર લઈને અમારા શોરૃમથી સુરત ખાતે બિઝનેસના કામ માટે જવા નીકળ્યા હતા. તરસાલીથી પાદરા તરફ જતા સમયે રાત્રે સવા અગિયાર વાગ્યે અમે તરસાલી સાઈબાબાના મંદિર પાસેથી જતા હતા. તે દરમિયાન પાછળથી એક કાર ચાલકે અમારી કારને ટક્કર મારતા મે કાર ઉભી રાખી જોતા મારી કારને નુકસાન થયું હતું . અકસ્માત પછી કાર ચાલક સ્થળ પર કાર છોડીને ભાગી ગયો હતો.
બીજી તરફ અકસ્માતની જાણ થતા મકરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. ડ્રાઇવર સીટની બાજુની સીટ પરથી બિયરનું એક ટીન તથા દારૃની એક નાની બોટલ મળી આવી હતી. જે અંગે પોલીસે કાર ચાલક સામે અલગથી ગુનો દાખલ કર્યો છે.


