Get The App

જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું 1 - image

Vadodara : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વિકાસના કામોમાં વહીવટી ઉદાસીનતા અને જમીન સંપાદનની જટિલ પ્રક્રિયાનો ભોગ સ્થાનિક પ્રજા બની રહી છે. તાલુકાના લીલોરાથી પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પર મંજૂર થયેલો બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી માત્ર કાગળ પર અને અધ્ધરતાલ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ, નાના-મોટા ઉદ્યોગો હોવાથી રોજ આશરે પોણા લાખ લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે.

વર્ષ 2023નો આ પ્રોજેક્ટ હોવા છતાં, જમીન સંપાદનની કામગીરીમાં જમીન માલિકો સહકાર ન આપતા અથવા હાજર ન રહેતા આખો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે. જેના કારણે રોજબરોજ અવરજવર કરતા પોણા લાખથી વધુ નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તાર ભૌગોલિક અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. અહીં શૈક્ષણિક સંસ્થાઓ અને નાના-મોટા ઉદ્યોગો આવેલા, છે. જો આ બ્રિજ બની જાય તો પાલડી, ઉત્તમનગર, ખાખરીયા સહિતના ડઝનબંધ ગામોના લોકોને સીધો ફાયદો થાય તેમ છે. અત્યારે વિદ્યાથીઓ, નોકરિયાતો અને ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોએ લાંબો ફેરો ખાવો પડે છે વર્ષ 2023થી આ બ્રિજ મંજૂર થયો છે, પણ તંત્રની ઢીલી નીતિના કારણે જમીન સંપાદનનો મુદ્દો ઉકેલાતો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિજની કામગીરી માટે જે જમીનની જરૂર છે, તેના માલિકો વારંવારની નોટિસ છતાં પ્રશાસન સમક્ષ હાજર થઈ રહ્યા નથી. સામાન્ય રીતે આવા લોકોપયોગી પ્રોજેક્ટ માટે સરકાર પાસે વિશેષ સત્તાઓ હોય છે, તેમ છતાં ત્રણ-ત્રણ વર્ષથી આ ફાઈલ ધૂળ ખાઈ રહી છે.

જૂના જર્જરિત બ્રિજ પરથી જીવના જોખમે અવરજવર કરતા લોકો

વાઘોડિયા તાલુકાના પાલડી, લીલોરા સહિતના ગામોના લોકોને અવરજવર માટે હાલમાં જૂના જર્જરિત પૂલનો ઉપયોગ કરવો પડે છે. વિશ્વામિત્રી નદી પરના આ બ્રિજ પરથી ભારે વાહનો માટે અવરજવર બંધ છે જેના કારણે મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર નહી થઈ શકતા લાંબો ફેરો કરવો પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી લોકો હેરાન પરેશાન થતા હોવા છતાં તંત્રને તેની કઈ પડી નથી.

ત્રણ વર્ષથી પત્ર વ્યવહાર કરી સમય વેડફતું તંત્ર : કામગીરી શૂન્ય

વિશ્વામિત્રી નદી પર નવો બ્રિજ બનાવવા માટેનું કામ માત્ર જમીન સંપાદનના કારણે અટકી ગયું છે. મહેસૂલ વિભાગ દ્વારા જમીનની માપણી નહી થઈ શકતા સમગ્ર કામગીરીને અસર પડી રહી છે. સરકારના પોતાના પ્રોજેક્ટો માટે તુર્ત જ જમીન સંપાદન યેનકેન પ્રકારે કરી દેવામાં આવે છે પરંતુ લોકોને મુશ્કેલી દૂર થાય તેવા કામ માટે માત્ર પત્ર વ્યવહારમાંથી તંત્ર બહાર નીકળતું નથી અને કોઈ અસરકારક કામગીરી થતી નથી.