Get The App

ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ 1 - image

44 પંચાયતો જીત્યા બાદ પણ સામ્રાજ્યવાદી મનોવૃત્તિ : કોંગ્રેસની વાંકાનેર, કલ્યાણપુર, લીલીયા અને આપની લાલપુર, વિસાવદર, ભેસાણ, બગસરા તાલુકા પંચાયતમાં ગાબડું પાડવા માટે તડજોડની વ્યૂહરચના

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય સમીકરણો સ્પષ્ટ કરી દીધા છે. ભાજપે આ વિસ્તારમાં પોતાનો દબદબો સાબિત કરતા રાજકોટ સહિત તમામ 4 મહાનગરપાલિકાઓ અને 8 જિલ્લા પંચાયતો પર કેસરિયો લહેરાવ્યો છે. નગરપાલિકાઓની વાત કરીએ તો 18 પૈકી 15 પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 55 માંથી 44 તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. જો કે, આ પ્રચંડ જીત બાદ પણ ભાજપ વિપક્ષ પાસે રહેલી 7 અને ગુંચવણમાં પડેલી ત્રણ મળીને બાકીની 11 તાલુકા પંચાયતોમાં પણ સત્તા સ્થાપવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

સૌરાષ્ટ્રના રાજકારણમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ વિષય એ છે કે 80% થી વધુ બેઠકો જીત્યા હોવા છતાં ભાજપ શા માટે નાની પંચાયતો પાછળ પડયું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાસે રહેલી 7 મહત્વની તાલુકા પંચાયતો છીનવી લેવા માટે પડદા પાછળ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. લાલપુર, બગસરા, વિસાવદર અને ભેસાણ જેવી પંચાયતોમાં આપનો દબદબો છે, જ્યારે વાંકાનેર, કલ્યાણપુર અને લીલીયામાં કોંગ્રેસ પાસે બહુમતી છે. ભાજપ હવે આ વિસ્તારોમાં વિપક્ષી સભ્યોને પોતાની તરફ ખેંચીને સત્તા હસ્તગત કરવા માંગે છે. 

સૌરાષ્ટ્રની 44 તાલુકા પંચાયતોમાં અત્યારે ભાજપ પાસે ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ, વિંછીયા, હળવદ, મા.મિંયાણા, મોરબી, ટંકારા, ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડિયા, કાલાવડ, ભાણવડ, ખંભાળિયા, દ્વારકા, કેશોદ, મા.હાટિના, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, ગીરગઢડા, સુત્રાપાડા, ઉના, વેરાવળ, કુતિયાણા, પોરબંદર, રાણાવાવ, અમરેલી, બાબરા, ધારી, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ, લાઠી, રાજુલા અને સાવરકુંડલાનો બહુમતી સાથે કબજો છે. જો કે, આ ચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે ભાજપ માત્ર જીતવા માંગતું નથી, પણ વિરોધ પક્ષોના મૂળિયા ઉખેડી નાખવા માંગે છે. 44 પંચાયતોમાં શાસન હોવા છતાં બાકીની 11 પંચાયતો માટે થતી આ મથામણ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટેનો પાયો હોઈ શકે છે. વિપક્ષી છાવણીમાં અત્યારે સત્તા બચાવવાનો ફફડાટ છે, જ્યારે ભાજપ સામ-દામ-દંડ-ભેદની નીતિ સાથે આગળ વધી રહ્યું છે.