Get The App

સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત 1 - image


BJP MLA Kanti Balar On Surat Police: સુરતમાં પોલીસની કામગીરી સામે સત્તાધારી ભાજપના ધારાસભ્યનું આક્રમક વલણ જોવા મળ્યું છે. શહેરમાં દિવસેને દિવસે બેકાબૂ બની રહેલી ટ્રાફિક સમસ્યા, વરાછા-કતારગામ-વેડ રોડ વિસ્તારમાં વહેલી સવારે ખાનગી બસના ત્રાસ, સિગ્નલ પર મોબાઈલમાં વ્યસ્ત ટ્રાફિક પોલીસ તેમજ અશાંત ધારા હેઠળ નિયમ ભંગની ફરિયાદ કરવા જતા અરજદારોને પોલીસ સ્ટેશને એક યા બીજા કારણો આપી ધક્કા ખવડાવવામાં આવતા હોવાના મામલે ભાજપના ધારાસભ્યએ પોલીસ તંત્ર સામે આક્રમક રજૂઆત કરી હતી. 

સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો

પોલીસ સાથે સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ફરિયાદી થાકી જાય પછી કેસ ઢીલો પડી જતો હોવાની ફરિયાદ સહિતની કડક ટિપ્પણીઓ બાદ પોલીસની કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સુરતમાં પોલીસની કામગીરી સામે સત્તાધારી ભાજપના ધારાસભ્ય પોલીસ સંકલન બેઠકમાં આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. 

ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું કે, 'અશાંત ધારા લાગુ હોય તેવા વિસ્તારોમાં ફરિયાદી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ દ્વારા એક યા બીજા કારણો આગળ ધરીને ફરિયાદીને અનેક ધક્કા ખવડાવવામાં આવે છે. ક્યારેક દસ્તાવેજોના બહાના તો ક્યારેક પ્રક્રિયાના નામે ફરિયાદ નોંધવામાં વિલંબ કરવામાં આવે છે. અશાંત ધારા જેવા સંવેદનશીલ કાયદાનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ કડક અને પારદર્શક રીતે થવો જોઈએ. જો ફરિયાદી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા પછી પણ ન્યાય માટે ધક્કા ખાય તો લોકોનો કાયદા અને તંત્ર ઉપરનો વિશ્વાસ તૂટી જશે.' 

આ પણ વાંચો: નસવાડીમાં સ્મશાનના રસ્તે ભંગારના ઢગલા: વેપારીની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, '2 દિવસમાં રસ્તો ખુલ્લો કરો'

ટ્રાફિક મુદ્દે પણ ધારાસભ્યએ પોલીસને ઘેરી હતી. તેમણે કહ્યું કે, વેડ રોડ, કતારગામ અને વરાછા વિસ્તારમાં વહેલી સવારે ખાનગી બસો અને ભારે વાહનોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવા છતાં પોલીસ દ્વારા પૂરતી કાર્યવાહી થતી નથી જેના કારણે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.' જોકે, તેઓએ યાત્રા પ્રવાસ માટે જતી મંડળની બસને મુક્તિ આપવા તથા બેફામ દોડતી બસ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.