Gujarat

અમરાઈવાડી વોર્ડમાં ગટરલાઈનનું કામ ખોરંભે પડતા રહીશો ત્રસ્ત બન્યાં

By GS Team
29 Dec 20211 min read
This article was originally published on 29 Dec 2021
અમરાઈવાડી વોર્ડમાં ગટરલાઈનનું કામ ખોરંભે પડતા રહીશો ત્રસ્ત બન્યાં

  અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અવારનવાર શહેરને સ્માર્ટ સિટીનો દરજજો આપવામાં આવ્યો હોવાની દુહાઈ લઈ રહ્યા છે.લેવામાં આવતી આ દુહાઈની વચ્ચે અમરાઈવાડી વોર્ડની કડવી વાસ્તવિકતા સપાટી ઉપર આવી છે.આ વોર્ડમાં ગટરલાઈન નાંખવાની કામગીરી છેલ્લા દસ દિવસથી અકળકારણોસર બંધ કરી દેવામાં આવી છે.રબારી કોલોની ચાર રસ્તાથી મેટ્રો રુટ પરના દબાણો એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવામાં આવતા જ નથી.

અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડની મળેલી પ્રતિક્રીયા મુજબ, વોર્ડમાં પારસમણી એપાર્ટમેન્ટથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરલાઈન નાંખવાની કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.પરંતુ અગમ્યકારણોથી ગટરલાઈનની કામગીરી બંધ કરી દેવામાં આવતા સમગ્ર રોડ ઉબડખાબડ બની જવા પામ્યો છે.આ અંગે સત્તાવાળાઓ તરફથી કોઈ નકકર કામગીરી કરવામાં આવતી ના હોવાથી સ્થાનિક રહીશો ઉપરાંત વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમરાઈવાડી વોર્ડમાં જનતાનગર વિવેકાનંદ સ્કૂલ પાસે,સુભાષ માર્કેટ પાસે, શાંતિનગર પાસે સ્પીડ બ્રેકરની જરૃર હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વારંવાર રજુઆત કરવા છતાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા નથી.રબારી કોલોની ચાર રસ્તાથી મેટ્રોરૃટ સુધીના રોડ ઉપર અસંખ્ય દબાણો થઈ ગયા હોવા છતાં પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ તરફથી દબાણો દુર કરવામાં આવતા ના હોવાથી રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે.