| AI IMAGE |
Junagadh News: લોકશાહીમાં ક્યારેક આંકડાકીય બહુમતી હોવા છતાં ટેકનિકલ સમીકરણો બાજી પલટી નાખતા હોય છે. આવો જ એક અજીબોગરીબ કિસ્સો જૂનાગઢની ભેસાણ તાલુકા પંચાયતમાં જોવા મળ્યો છે. અહીં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 16માંથી 13 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે સત્તાધારી ભાજપને ફાળે માત્ર 3 બેઠકો જ આવી છે.
પ્રચંડ બહુમતી છતા પણ સત્તાથી વંચિત
જોકે, આટલી પ્રચંડ બહુમતી છતાં આપ સત્તાથી વંચિત રહેશે. તેનું મુખ્ય કારણ અનામત બેઠકનું ગણિત છે. ભેસાણ તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ આ વખતે અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રાખવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિના ઉમેદવાર આ ચૂંટણીમાં હારી ગયા છે. જેના કારણે 13 સભ્યો હોવા છતાં તેમની પાસે પ્રમુખપદ માટે કોઈ યોગ્ય ઉમેદવાર બચ્યો નથી.
ભાજપના ભીખાભાઇ બનશે પ્રમુખ
બીજી તરફ, ભાજપના જે 3 ઉમેદવારો જીત્યા છે, તેમાં ભીખાભાઈ મકવાણા અનુસૂચિત જાતિના એકમાત્ર પ્રતિનિધિ છે. કાયદાકીય જોગવાઈ મુજબ, પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના સભ્યને જ બેસાડવા ફરજિયાત હોવાથી, ભાજપના ભીખાભાઈ મકવાણાનો માર્ગ મોકળો બન્યો છે. આમ, જનતાએ ભલે આપને બહુમતી આપી, પણ ટેકનિકલ કારણોસર ભાજપને બેઠાં-બેઠાં લોટરી લાગી છે અને વિપક્ષમાં હોવા છતાં શાસન ભાજપના હાથમાં જશે.




