Get The App

ભાવનગર રેલવે મંડળને 12 માસમાં 1375.94 કરોડ રૂપિયાની આવક

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર રેલવે મંડળને 12 માસમાં 1375.94 કરોડ રૂપિયાની આવક 1 - image

- મુસાફર આવકમાં 18.7 ટકા અને માલભાડાની આવકમાં 12.9 ટકાનો વધારો

- ડિસેમ્બરમાં ખાતરના 94 રેક લોડ કરી 46.83 કરોડની કમાણી કરાઈ, ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક અને વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી

ભાવનગર : ભાવનગર રેલવે મંડળ માટે ૨૦૨૫નું વર્ષ આવક અને અન્ય બાબતોએ લાભદાયી રહ્યું છે. મુસાફર આવકમાં ૧૮.૭ ટકા અને માલભાડાની આવકમાં ૧૨.૯ ટકાના વધારા સાથે મંડળને ૧૩૯૫.૯૪ કરોડ રૂપિયાની આવક થવા પામી છે.

ભાવનગર મંડળમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૧૭ લેવલ ક્રોસિંગનો ઉચ્છેદ આરઓબી/આરયુબી નિર્માણ, ડાયવર્ઝન, સીધા બંધ દ્વારા સુધાર કરાયો છે. પાંચ રેલવે અંડરબ્રિજ, એક રેલવે ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણ કરાયું છે. સિહોર જંક્શનમાં નવો ફૂટ ઓવરબ્રિજ, વિવિધ સ્ટેશન પર ૧૨ નવા ફૂટ ઓવરબ્રિજ પ્રસ્તાવિત/નિર્માણાધીન છે. અતિક્રમણ અટકાવવા ૯.૨૪૫ કિ.મી. બાઉન્ડ્રી વોલનું નિર્માણ કરાયું છે. પાણી ભરાવાની સમસ્યા નિવારવા દામનગર-લીલિયા મોટા સેક્શનમાં વોટર-વે બ્રિજનું નિર્માણ પૂર્ણ કરાયું છે.

છેલ્લા ૧૨ માસમાં રૂા.૧૩૭૫.૯૪ કરોડ અને સર્વાધિક માસિક આવક ૨૯.૫૦ કરોડની યાત્રી આવક થઈ હતી. ડિસેમ્બરમાં ખાતરના ૯૪ રેક લોડ કરી ૪૬.૮૩ કરોડ અને એપ્રિલ માસમાં લેપીજીના ૭૭ રેક લોડ કરી રૂા.૨૧.૯૨ કરોડની કમાણી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન મુસાફર આવકમાં ૧૮.૭ ટકા (રૂા.૨૩૧.૦૬ કરોડ) અને માલભાડાની આવકમાં ૧૨.૯ ટકા (રૂા.૭૮૭.૪૯ કરોડ)નો વધારો થયો છે. ભાવનગર મંડળને બે નવી ટ્રેન પણ મળી છે. જેમાં ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક અને વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫માં ભાવનગર મંડળે અન્ય યાત્રી સુવિધા, સુરક્ષા, આધુનિકીકરણમાં વૃદ્ધિ અને ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી હોવાની માહિતી ભાવનગર ડીઆરએમ, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે આપી હતી.

રેલવેની સંપત્તિ ચોરીમાં 43 શખ્સની ધરપકડ

ભાવનગર રેલવેની સંપત્તિની ચોરી કરવાના દાખલ થયેલા ૧૭ કેસમાં ૪૩ શખ્સ અને એસીપીના ૨૧૪ કેસમાં ૧૯૭ શખ્સની ધરપકડ તેમજ રૂા.૪૧,૨૦૦નો દંડ વસૂલાયો હતો. ઓપરેશન અનામત અંતર્ગત ૨૦૪ ખોવાયેલી વસ્તુઓ મુસાફરોને પરત કરાઈ હતી. ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ ૩૫ બાળકોનું રેસ્ક્યુ કરી પરિવારને સોંપાયા હતા. ઓપરેશન જીવન રક્ષા હેઠળ ગોંડલ સ્ટેશન પર સીપીઆર આપી મુસાફરનો જીવ બચાવ્યો. રેલવે અધિનિયમ હેઠળ ૮૮૩૯ કેસમાં રૂા.૧૦.૩૫ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.