Get The App

'DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય', ગેનીબેનનું મોટું નિવેદન

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
'DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય', ગેનીબેનનું મોટું નિવેદન 1 - image


Banaskantha News: ઠાકોર સમાજનું નવું બંધારણ તો અમલમાં આવી ગયું છે પણ હાલ ડીજે વગાડવા મુદ્દે સમાજમાં બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ બંધારણ ઘડનાર આગેવાનો અને નેતાઓ સર્વ સંમતિથી બંધારણ પાસ થયું છે તેથી એક વર્ષ સુધી કોઈ ફેરફાર થશે નહીં તેવી હામ ભરી રહ્યા છે બીજી તરફ અમુક કલાકારો Dj પર પ્રતિબંધનો જોરશોરથી વિરોધ કરી સમાજનું બંધારણ ઘડનારા આગેવાનોને પડકાર ફેંકી રહ્યા છે તેવામાં આજે ભાભર ખાતે ઠાકોર સમાજની બેઠકમાં સાંસદ ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે DJ વાળી વાત કરવાની નથી, તેમાં વર્ષ 2027 સુધી તો કોઈ ફેરફાર થવાનો નથી જ.  DJ વિવાદ પર બેઠકમાં હાજર અલ્પેશ ઠાકોર સહિત તમામ આગેવાનોએ મક્કમતા દર્શાવી હતી.

'2027 સુધી કોઈ ફેરફાર થવાનો નથી'

DJ વિવાદ પર સાંસદ ગેનીબેને પોતાનો મત ખૂલીને મૂકતાં ક્હ્યું હતું કે 'સમાજે જે નિયમો ઘડ્યા છે, તેમાં ડીજે વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે. પરંપરાગત ઢોલ, નાશિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાય, જો કોઈ પોતાના ખેતરમાં કે ટ્રેક્ટર પર નાની સાઉન્ડ સિસ્ટમ વગાડીને મનોરંજન કરે તો તેમાં સમાજને વાંધો નથી. પરંતુ જાહેર પ્રસંગોમાં મોટેથી ડીજે વગાડીને બીજાને હેરાનગતિ કરવી યોગ્ય નથી. ડીજેના ધંધાવાળા કહે છે કે તેમની રોજગારી છીનવાઈ રહી છે, તો જ્યારે ડીજે આવ્યા ત્યારે શું ઢોલ વગાડનારાઓએ આવું કહ્યું હતું? હવે આ બંધારણ પાસ થઈ ગયું છે, હવે 2027 સુધી કોઈ ફેરફાર થવાનો નથી, સામાજિક શિસ્ત જરૂરી છે.

'હું ગોળી ખાવા પણ તૈયાર', કલાકારે માંગી માફી

આ ઉપરાંત ડીજેના તાલે સુનિલ ઠાકોરનું 'બંધારણ વાળાને મારો ગોળી' પ્રકારનું ગીત હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે, જેના પર ગેનીબેન ઠાકોરે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ ગીતનો વીડિયો મેં સાંભળ્યો છે. બંધારણ કોઈ વ્યક્તિગત રીતે અમલમાં આવ્યું નથી. આવી રીતે ઉશ્કેરણી જનક ગીતો ગવાતા હોય, તો એમને ટકોર છે કે મર્યાદામાં રહીને સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગાઈ મનોરંજન કરો, એની સામે કોઈને વાંધો નથી પણ જેને પણ ગોળી મારવાની વાત કરો છો તેનું સમાજ સુધારા માટે શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કે સમાજ સુધારા માટે હું ગોળી ખાવા પણ તૈયાર છું. જો કે ગેનીબેનની ટકોર અને સોશિયલ મીડિયામાં પડેલી ફટકાર બાદ   'બંધારણ વાળાને મારો ગોળી' ગાનારા કલાકાર સુનિલ ઠાકોરે સમાજની માફી પણ માંગી છે. 

આ પણ વાંચો: પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, પ્રસંગોને લઈને 'સામાજિક બંધારણ' તૈયાર કરાયું

જાણો શું છે મામલો

બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા થોડા દિવસ પહેલા જ એક મહાસંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનવાયું હતું જેમાં દીકરીના ભણતરથી લઈને, તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા હતા અને સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતાં ખોટ ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવ્યા હતા. જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા DJ સાથે લઈ જવાશે નહીં. આ નિયમને નેવે મૂકીને  ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર DJ લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ મામલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજની બેઠકમાં બંનેને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા ફટકારવામાં આવી હતી. 

સમાજ સામે વિક્રમ ઠાકોરે બાંયો ચઢાવી

6 ફેબ્રુઆરીના રોજ વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, 'ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નાત બહાર મુકી દીધા છે. તેમણે કંઇક ડીજે કર્યું હતું. જ્યારે ઠાકોર સમાજનું સેક્ટર 11માં સંમેલન હતું ત્યારે મે ગેનીબેનને વિનંતી કરી હતી, ત્યારે ગેનીબેન એવું કહેતા હતા કે ભાઇ મે બંધારણ નથી ઘડ્યું, પણ બોલ્યા તો હતા તમે ને? ડીજેના જે કલાકારો હતા તે બિચારા ઘરે બેસી ગયા છે. જે આગેવાનોએ બંધારણ કર્યું છે એ લોકોને ખબર નથી કે ડીજે એટલે શું. તેઓ એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કૂદશે, દારૂ પીશે અને ઝઘડા થશે. એવું જરૂરી નથી, ઢોલ વગાડશો તોય દારૂ પીનારો પીવાનો જ છે. ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો, ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે, એ વસ્તુ ખોટી છે.' જો ડીજે વગાડવાનું બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. અમારી બાજુ તો ડીજે બંધ નહીં જ થાય. ડીજે બંધ કરાવવાનો નિર્ણય જ છે. જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો.'