Get The App

પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, પ્રસંગોને લઈને 'સામાજિક બંધારણ' તૈયાર કરાયું

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, પ્રસંગોને લઈને 'સામાજિક બંધારણ' તૈયાર કરાયું 1 - image


Panchmahal News : પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જોવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજો, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે.

કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ

વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો દૂર કરી 'શિક્ષિત બનો અને સંગઠિત બનો'ના સૂત્રને સાર્થક કરવા ક્ષત્રિય સમાજ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભદ્રાલા ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં લાભી, ભદ્રાલા, હાંસાપુર, ધાંધલપુર અને સલામપુરા એમ પાંચ ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. 

પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, પ્રસંગોને લઈને 'સામાજિક બંધારણ' તૈયાર કરાયું 2 - image

પ્રસંગોને લઈને 'સામાજિક બંધારણ' તૈયાર કરાયું

આ બેઠકમાં સામાજિક પ્રસંગોને સરળ બનાવવા અને આર્થિક બોજ ઘટાડવા માટે સર્વાનુમતે એક 'સામાજિક બંધારણ' ઘડવામાં આવ્યું છે. નવા બંધારણની મુખ્ય જોગવાઈઓ મુજબ સોના-ચાંદીના દાગીના, લગ્ન પ્રસંગે વ્યવહારમાં આપવામાં આવતા સોના-ચાંદીના દાગીનાની સંખ્યા મર્યાદિત રાખવી, ખર્ચ પર નિયંત્રણ જેવા કે ડીજે મ્યુઝિક સિસ્ટમ, મોસાળું અને કપડાંની લેવડદેવડના બિનજરૂરી ખર્ચ બંધ કરવા, જમણવારમાં પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યામાં ઘટાડો કરવો. સાથે-સાથે નિયમોનું પાલન નહીં કરનારા તેમજ પ્રસંગોમાં દારૂ પીને આવનાર કે ઝઘડો કરનાર વ્યક્તિ સામે કડક દંડનીય કાર્યવાહી કરવી સહિતના નિર્ણયો લેવાયા છે. આ સાથે લગ્નમાં થતાં ખોટા ખર્ચાથી બચવા સમુહ લગ્નોમાં સંતાનોના લગ્ન કરાવવા સૂચન પણ કરાયુ હતું.

પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, પ્રસંગોને લઈને 'સામાજિક બંધારણ' તૈયાર કરાયું 3 - image

સમાજના અગ્રણી અને એડવોકેટ અનોપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, "લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ રોકવા આ બંધારણ નક્કી કરાયું છે. સમાજને પ્રગતિના પંથે લઈ જવા અને સામાન્ય માણસને દેવામાંથી બચાવવા માટે પાંચ ગામના આગેવાનોએ મળીને આ નિર્ણય લીધો છે, જેનો અમલ ચુસ્તપણે કરવામાં આવશે."

આ પણ વાંચો: ઠાકોર-રબારી બાદ હવે બ્રહ્મ સમાજ બનાવશે 'સામાજિક બંધારણ', લગ્નમાં થતા ખોટા ખર્ચ પર મુકાશે બ્રેક

આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોએ પણ આ પરિવર્તનને આવકાર્યું હતું. સમાજના દરેક વ્યક્તિને આર્થિક રીતે અનુકૂળ રહે તેવા આ સામુહિક સ્વીકારને પગલે સમગ્ર પંથકમાં આ ઝુંબેશની પ્રશંસા થઈ રહી છે. આ પગલું આગામી સમયમાં અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બનશે.