Jamnagar Court : જામનગરમાં એઆઈ જનરેટેડ રીલ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી બિલ્ડરો તથા રાજકીય આગેવાનોને બદનામ કરી ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં જામનગર સેશન્સ અદાલતે મહત્વપૂર્ણ હુકમ આપતાં આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરાની જામીન અરજી ફગાવી દીધી છે.
સમગ્ર મામલો ગત તા. 1 જાન્યુઆરી 2026ના રોજ સામે આવ્યો હતો, જેમાં ધંધાર્થી સ્મિત જેન્તીભાઈ પરમારે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, “વિશાલ કણસાગરા” નામની સોશિયલ મીડિયા આઈડી પરથી લેન્ડ ગ્રેબિંગના કેસમાં ફિટ ન થવું હોય તો રૂ.23 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી આરોપી વિશાલ કણસાગરાની ધરપકડ કરી હતી. જામનગરના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ બિલ્ડર જમનભાઈ ફળદુ વગેરે દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેલમાં રહેલા આરોપીએ અદાલતમાં જામીન અરજી કરી દલીલ કરી હતી કે, જે સોશિયલ મીડિયા આઈડી પરથી ખંડણી માંગવામાં આવી હતી તે પોતાની હોવાનું હજુ પુરવાર થયું નથી તેમજ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગઈ હોવાથી જામીન પર મુક્ત કરવો જોઈએ.
જોકે, સરકાર પક્ષ તરફથી સરકારી વકીલે અદાલતમાં કડક દલીલો રજૂ કરી હતી. જેમાં જણાવાયું હતું કે આરોપી દ્વારા વિવિધ બિલ્ડરો અને રાજકારણીઓને નિશાન બનાવી એઆઈ જનરેટેડ રીલ્સ વાયરલ કરવામાં આવતી હતી, અને બાદમાં ડરાવી ખંડણી માંગવામાં આવતી હતી. તપાસ દરમિયાન આરોપીએ રૂ.2 લાખ જેટલી રકમ પોતાના પિતાના માધ્યમથી તેમજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા મેળવ્યાનું પણ બહાર આવ્યું હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.
સરકાર પક્ષે વધુમાં દલીલ કરી હતી કે આરોપી સમગ્ર રેકેટ નેપાળમાં રહીને ચલાવતો હતો. અને જો જામીન પર મુક્ત કરવામાં આવશે તો ફરી નેપાળ ભાગી જવાની શક્યતા નકારી શકાય નહીં. આરોપી સામે અગાઉથી અન્ય 10 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું અદાલતના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામનગર સેશન્સ કોર્ટે આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.


