સુરત: વરાછા-એ ઝોનમાં સંક્રમણ ઘટતાં 2.17 લાખ લોકોને ક્લસ્ટર મુક્ત કરાયા

વરાછા એ ઝોનમાં વાઈરલ લોડ વધી જતાં 1413 કેસ થયાં હતા, અનેક દર્દીઓ ડિસ્ચાર્જ કરાતા હવે નિયંત્રણ હળવા કરાયા
સુરત, તા. 30 જુલાઈ 2020 શુક્રવાર
સુરત મ્યુનિ.ના લિંબાયત અને કતારગામ સાથે વરાછા એ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. ગીચ વિસ્તારમાં કોરોનાના કેસ વધતાં 49877 ઘરોમાં રહેતાં 2.17 લાખ લોકોને ક્લસ્ટર જાહેર કરીને ફરજ્યાત કોરોન્ટાઈન કરાયા હતા.
હવે આ વિસ્તારમાં વાઈરલ લોડ ઘટી રહ્યો છે અને અનેક દર્દીઓને સારવાર પુરી કરી હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવાતા મ્યુનિ. તંત્રએ 2.17 લાખ લોકોને ક્લસ્ટર મુક્ત કરવા સાથે નિયંત્રણ પણ હળવા કર્યા છે.
સુરત મ્યુનિ.ના વરાછા એ ઝોનમાં ગીચ વસ્તી ધરાવતા ચાલી અને સોસાયટી વિસ્તારમં કોરોના પોઝીટીવનું સંક્રમણ વધ્યું હતું. આ વિસ્તારમાં સુપર સ્પ્રેડર્સમાં પણ કોરોના પોઝીટીવનું પ્રમાણ વધી જતાં આ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 1431 થઈ ગઈ હતી. મ્યુનિ. તંત્રએ મોટા વરાછા ફાયર સ્ટેશનથી સુદામા ચોક,આનંદ વાટીક વિસ્તારના 19 હજાર લોકોને ક્લસ્ટર જાહેર કરીને ફરજ્યાત હોમ કોરોન્ટાઈન કરાયા હતા.
આ ઉપરાંત વરાછા એ ઝોનમાં સૌથી ગીચ વસ્તી ધરાવતી સોસાયટીઓમાં રહેતાં લોકોને પણ ફરજ્યાત હોમ કોરોન્ટાઈન કરાયા હતા. કોરનાનું સંક્રમણ વધવા સાથે વરાછા એ ઝોનના 49877 ઘરમાં રહેતાં 2.17 લાખ લોકોને ફરજ્યાત હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. હાલમાં મ્યુનિ. તંત્રએ મોટા ક્લસ્ટર દુર કરી નાના ક્લસ્ટર કરીને તે ક્લસ્ટરમાં વધુ સઘન રીતે નિયંત્રણ લાદવાનો નિર્ણય કર્યો છે.
મ્યુનિ. તંત્રએ હાલમાં વરાછા એ ઝોનમાં રહેતાં 2.17 લાખ લોકોને ક્લસ્ટર મુક્ત કરીને નિયંત્રણ હટાવ્યા છે. જ્યારે જે સોસાયટીમાંથી કેસ આવી રહ્યાં છે તે સોસાયટીમાં કલસ્ટર જાહેર કરીને એન્ટ્રી એક્ઝીટ નિયંત્રણ કરવાની કામગીરી થઈ રહી છે.
જે વિસ્તારમાં માઈક્રો ક્લસ્ટર જાહેર કરવામાં આવી રહ્યાં છે તે વિસ્તારના લોકો બિન જરૂરી ઘર બહાર ન નિકળે તે માટે લોકોને ઘર બેઠા અનાજની કીટ મળી રહે તેવું આયોજન મ્યુનિ.તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માઈક્રો ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથિક અને આર્યુવેદિક દવાનું વિતરણ પણ કરવામા આવી રહ્યું છે.




