Gujarat

વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા ઉગ્ર લોક માંગ

By GS Team
21 Aug 20253 mins read
This article was originally published on 21 Aug 2025
વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા ઉગ્ર લોક માંગ

અમદાવાદ,ગુરુવાર

ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની જાહેરમાં હત્યા મામલે આજે બીજા દિવસે પણ જનઆક્રોશ યથાવત રહ્યો હતો. લોકોએ પ્રચંડ આક્રોશ વ્યક્ત કરીને સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા અથવા તો સરકાર હસ્તક લઈ લેવાની માગણી કરી છે. વિદેશમાં શાળાઓના ગન કલ્ચરની જેમ હથિયાર સાથે શાળા સંકૂલમાં હિંસક પ્રવૃતિ કરતા બાળકોની સલામતી મુદ્દે લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યાં છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ આક્રોશપૂર્ણ રેલી અને દેખાવો યોજતાં  ઘર્ષણ થયું હતું. પોલીસે ૧૦૦થી વધુ લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશમાં શાળાઓના ગન કલ્ચરની જેમ હથિયાર સાથે સ્કૂલમાં હિંસક પ્રવૃત્તિ કરતા બાળકોની સલામતી મુદ્દે અનેક સવાલો ઃસ્કૂલના સંચાલકો સામે તાત્કાલીક કાર્યવાહી કરો, વિદ્યાર્થીઓ-વાલીઓની રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ ઃ ૧૦૦થી વધુની અટકાયત

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં એક સપ્તાહ પહેલા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારને લઇને મંગળવારે સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા ૧૫ વર્ષના નયન સંતાણીની તિક્ષ્ણ હથિયારથી જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ધોરણ ૮માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ઘાતક હુમલો કર્યો હતો. આ બનાવને લઇને સ્કૂલ  સંચાલકોની બેદરકારી છતી થઇ છે કારણ કે એક સપ્તાહ પહેલા થયેલી તકરારની નોંધ લઇને વિદ્યાથીઓના વાલીઓને બોલાવીને તેમની સાથે વાતચીત કરીને ધ્યાન રાખ્યું હાત તો નિદોર્ષ બાળકનો જીવ બચી ગયો હોત.

શાળામાં થયેલી વિદ્યાર્થીની હત્યાના મામલે આજે બીજા દિવસે વાલીઆમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો અને  તેને લઇને આજે સર્વ સમાજના લોકોની મોટી સંખ્યામાં રેલી નીકળી હતી અને સ્કૂલની માન્યત દર કરવા તથા જવાહદારો સામે દાખલરૃપ કડક સજા કરવા માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહી રેલીમાં સુત્રોચ્ચારો સાથે ઉગ્ર દેખાવો કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું થતાં પોલીસ ૧૦૦થી વધુ લોકની અટકાયત કરી હતી.

--------

બુધવારે હિંસક ટોળાએ સ્ટાફને માર માર્યો

સેવન્થ ડે સ્કૂલમાં ઘૂસીને તોડફોડ  ૫૦૦ના ટોળા સામે ગુનો નોંધ્યો

અમદાવાદ,ગુરુવાર

ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ શાળા તરફથી દાખવવામાં આવેલી બેદરકારીને લઇને વાલીઓ તથા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો, જેમાં બુધવારે હિંસક ટોળાએ સ્કૂલમાં ઘૂસીને સ્ટાફના માણસોને પકડી પકડીને માર મારીને તોડફોડ કરી હતી  આ બનાવ અંગે ખોખરા પોલીસે ૫૦૦થી વધુ લોકો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલના આઠ વાહનો ૧૪ સીસીટીવી કેમેરા સ્માર્ટબોર્ડ તોડયાની પોલીસ ફરિયાદ

ખોખરાની સેવન્થ ડે સ્કૂલના એડમીન મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ૫૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ તેમની સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા ૧૫ વર્ષના નયન સંતાણીને પેટમાં તિક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી. જેના લઇને તા.૨૦ના રોજ  ૫૦૦થી વધુ લોકોનું ટોળું શાળામાં ઘૂસી આવ્યું હતું.

૧૪ સ્માર્ટ સહીતના સીસીટીવી કેમરા તથા આઠ વાહનોની તથા પેન ક્યુ સ્માર્ટ બોર્ડની તોડફોડ કરી હતી ઉપરાંત શાળાની ઓફિસમાંથી સ્ટાફના માણસોને પકડીને બહાર લાવીને માર મારીને શાળાની બારીઓના કાચ સહીતના સર સમાનની તોડફોડ કરીને નુકસાન કર્યુ હતું. આ ઘટના અંગે ખોખરા પોલીસે ટોળા સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.