Gujarat

સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન

By GS TEAM
3 Apr 20261 min read
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાછળ કાર્યરત

કર્મચારીઓ કચેરીને તાળા આંટાફેરા મારતા હોવાની રાવ ઃ દોષિતો સામે પગલાં ભરવા માંગ

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર, જોરાવરનગર અને રતનપરના રહીશોની સુવિધા માટે કલેક્ટર કચેરીની પાછળ કાર્યરત કરવામાં આવેલી સીટી મામલતદાર કચેરી હાલ અરજદારો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે.

ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે દૂર-દૂરથી કામ અર્થે આવતા અરજદારોને કચેરીમાં તાળા લટકતા જોવા મળી રહ્યા છે. મહેસૂલ તલાટી સહિતના કર્મચારીઓ કચેરી સમય દરમિયાન હાજર ન રહેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

ખાસ કરીને બપોરના સમયે કચેરી બંધ કરી કર્મચારીઓ બહાર આંટાફેરા મારતા હોવાથી મહિલા અરજદારોને ધોમધખતા તાપમાં કલાકો સુધી બેસી રહેવું પડે છે. અરજદારોનો આક્ષેપ છે કે જે સુવિધા માટે આ કચેરી બનાવાઈ હતી, તે હવે કર્મચારીઓની ગેરહાજરીને કારણે 'દુવિધા' બની ગઈ છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે જિલ્લા કલેક્ટર આ બાબતે તાકીદે હસ્તક્ષેપ કરે અને જવાબદાર કર્મચારીઓને સમયસર હાજર રહેવા કડક સૂચના આપે જેથી જનતાને પડતી મુશ્કેલીઓનો અંત આવે.