Gujarat

જામનગર શહેરમાં ગઈકાલે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો: જોકે ગ્રામ્ય વિસ્તારમાં રાહત

By GS Team
28 Dec 20212 mins read
This article was originally published on 28 Dec 2021
જામનગર શહેરમાં ગઈકાલે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો: જોકે ગ્રામ્ય વિસ્તારમાં રાહત

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગર શહેર માં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન આગળ વધતું જાય છે, જામનગર શહેરમાં ગઇકાલે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અગાઉ સંક્રમિત થયેલા બે દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં એક સપ્તાહથી કોરોના ના મામલે રાહત છે. અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની ટિમ દ્વારા ગઈકાલે જામનગર શહેરમાં 677 કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યા છે, અને અત્યાર સુધીના 5,89,237 લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે. તે જ રીતે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 80 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના કુલ 757 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં કોરોનાના 6 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં 1 પોઝીટીવ દર્દીને બાયપેપ પર રાખવામાં આવ્યા છે. અન્ય 3 દર્દીઓને ઓક્સિજન મારફતે સારવાર અપાઈ રહી છે, ત્યારે અન્ય બે દર્દીઓ રૂમ-એર પર સારવાર હેઠળ છે. ઉપરાંત હાલ કોરોના ના શંકાસ્પદ એવા બે દર્દીને પણ ઓક્સિઝન ની મદદથી સારવાર હેઠળ રખાયા છે.

મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે અને ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવી રહેલા ત્રણ દર્દીઓ પૈકી બે દર્દીને ગઈકાલે જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર એક દર્દી સારવાર હેઠળ છે. અને તેને પણ બે ત્રણ દિવસ દરમિયાન રજા આપવામાં આવશે, જેથી મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના દર્દીઓનો આંકડો લાંબા સમય પછી ઝીરો નો થશે.