Gujarat

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે ઠગાઈનો વધુ એક ગુનો નોંધાયો

By GS TEAM
11 Feb 20262 mins read
TukuTouch Logo
જામનગરના બજરંગપુર ગામના વધુ નવ ખેડૂતોની તલ, મગફળી, સફેદ ચણા સહિત રૂપિયા 26.43 લાખની ખેત પેદાશોના નાણા નહીં ચૂકવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે ઠગાઈનો વધુ એક ગુનો નોંધાયો

Jamnagar Fraud Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 18 જેટલા ખેડૂતોની 96.97 લાખની ખેત પેદાશોની ખરીદી કરી નાણાં ચૂકવ્યા વિના રફુચક્કર થઈ જનાર શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો છે, જેની પૂછપરછ દરમિયાન જામનગર તાલુકાના બજરંગપુર ગામના વધુ 9 ખેડૂતોને શિકાર બનાવી લઈ તેઓની 26.34 લાખની જણસ ખરીદ કરીને પૈસા નહિ ચૂકવી છેતરપિંડી કર્યા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ ગત 3.2.2026 ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાની તથા અન્ય 17 ખેડૂતોની આશરે 96,97,601 જેટલી રકમની જુદી જુદી ખેત પેદાશો મેળવી લઈ નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા વેપારી દિલીપ નારદભાઈ સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ અને તેઓની ટીમ દ્વારા આરોપી દિલીપ સાવલિયાની ધરપકડ કરી લીધી હતી. જેને અદાલત સમક્ષ રજૂ કરી 9 દિવસની પોલીસ રિમાન્ડ પર લીધો હતો. જેની પૂછપરછ દરમિયાન તેણે બજરંગપુર ગામના વધુ નવ ખેડુતોની જણસ ખરીદ કરી નાણા નહીં ચૂકવતાં તેની સામે  બજરંગપુર ગામના ખેડૂત પોપટભાઈ પોલાભાઈ ભંડેરીએ ગઈકાલે જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અને પોતાના સહિત નવ ખેડૂતોની 22,36,362 ની જણસ મેળવી લીધા બાદ પૈસા નહીં ચૂકવવાની ફરિયાદ નોંધાવાઈ છે, જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઈ રહી છે.