Get The App

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ

બિલ્ડરે એક દુકાનનો અન્યને બાનાખત કરાર કરી આપ્યો, છેતરપિંડીનો પોલીસમાં ગુનો નોંધાયો

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ 1 - image

વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં આવેલી કેશવ બ્લિઝ સ્કીમના ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાનોના અવેજ પેટે રૂ. ૨૬ લાખ ચૂકવ્યા હોવા છતાં જાણ બહાર બાનાખત કરાર રદબાતલ કરી એક દુકાન અન્યને વેચી નાખ્યાના મામલે બિલ્ડર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ કપુરાઈ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

હરણી રોડ વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષના દમયંતી પાંડુભાઈ યાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ દરમિયાન વડોદરા જિલ્લાના અણખોલ ગામે બ્લોક/સર્વે નં. ૫૮ (જૂનો સર્વે નં. ૧૦૪, ૧૦૫) તથા અંદાજે ૬૪૩૪ ચો.મી. વિસ્તાર ધરાવતી જમીનમાં નાર્સન હાઉસિંગ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર સુમિત નારાયણ પટેલ (રહે-સાનિધ્યડુપ્લેક્સ, માંજલપુર /હાલ રહે. તીર્થ રિટ્રીટ સોસાયટી, કપુરાઈ ચોકડી) દ્વારા કેશવ બ્લિઝ નામની સ્કીમમાં દુકાનો અને ફ્લેટોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.

ફરિયાદીએ સુમિત પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાર્નો રૂ. ૨૫.૪૦ લાખ પ્રતિ દુકાનના ભાવથી ખરીદવાનું નક્કી કર્યું હતું. જે મુજબ કુલ રૂ. રૂપલાખ ચૂકવી કબજા વગરનો બાનાખત કરાર કરાયો હતો. બાદમાં અવેજ પેટે રૂ. ૨૬ લાખની સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી વેચાણ દસ્તાવેજ માટે બિલ્ડર દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા.

આ મામલે ફરિયાદીએ સુમિત પટેલ સામે સિવિલ કોર્ટમાં કરાર વિશેષ રીતે અમલમાં મુકવા, કબજો મેળવવા તથા કાયમી મનાઈ હુકમ મેળવવા માટે દાવો દાખલ કર્યો છે, જે હાલ પેન્ડિગ છે.


ફરિયાદીની ખોટી સહી કર્યાનો આક્ષેપ

ફરિયાદીએ રેવન્યુ રેકોર્ડ તપાસતા જાણવા મળ્યું હતું કે, સુમિત પટેલે બંને દુકાનોના બાનાખત કરાર રદબાતલ કરવા માટે લેખ તૈયાર કરી તેમાં ફરિયાદીની ખોટી સહીઓ કરી સબ-રજીસ્ટ્રાર, બાપોદ સમક્ષ બાનાખત રદ કરાવ્યો હતો. એટલું જ નહીં, બે પૈકીની એક દુકાનનો કબજા વગરનો બાનાખત અન્યને કરી આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.