Get The App

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં 1 - image

- જિલ્લા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન

- આગામી સમયમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું આંદોલન, વિધાનસભાનો ઘેરાવ કરવાની રણનીતિ પણ ઘડવાની તૈયારી

નડિયાદ : નડિયાદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ૫૦૦થી વધુ આંગણવાડી કાર્યકર બહેનો છેલ્લા ત્રણ દિવસથી કામકાજ છોડીને ધરણાં પર ઉતરી છે. ખેડા જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થયેલી આ બહેનોએ પોતાની પડતર માંગણીઓ અને પગાર વધારાના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદશત કર્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ આંદોલનનું મુખ્ય કારણ પગાર વધારો અને ગુજરાત હાઇકોર્ટના આદેશનો અમલ ન થવો તે હોવાનું જાણવા મળ્યું છે. આંગણવાડીની બહેનોનો આક્ષેપ છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પગાર વધારા અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હોવા છતાં સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી. આ ઉપરાંત ઓનલાઈન કામગીરીનો ભાર સતત વધી રહ્યો છે, જેના કારણે કામગીરીમાં અનેક મુશ્કેેલીઓ સર્જાઈ રહી છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સંગઠન દ્વારા અત્યાર સુધીમાં પગારના મુદ્દે સરકાર સામે ૨૭ જેટલી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ૧૦થી ૧૨ વખત લેખિતમાં આવેદનપત્રો આપીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નથી.ધરણાં પર બેઠેલી બહેનોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ દિવસથી કચેરીના પટાંગણમાં બેસીને પોતાનો હક માંગી રહી છે. વારંવારની રજૂઆતો છતાં સરકાર સંવેદનશીલતા દાખવતી નથી, જેના કારણે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો આથક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પગાર વધારાની સાથે સાથે કામના કલાકો અને ઓનલાઈન ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવાની પણ માંગ કરવામાં આવી છે.

નડિયાદમાં ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનના કારણે આંગણવાડીની રોજિંદી કામગીરી પર પણ અસર પડી છે. બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓનો ન્યાયિક રીતે ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં. જિલ્લા કક્ષાએ ચાલી રહેલા આ આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાની તૈયારીઓ સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે.

આંગણવાડી કર્મચારી સંગઠને સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ટૂંક સમયમાં પગાર વધારા અને અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ આંદોલન માત્ર જિલ્લા પૂરતું સીમિત નહીં રહે. આગામી સમયમાં નડિયાદ અને ખેડા જિલ્લાની બહેનો ગાંધીનગર ખાતે એકત્ર થઈને રાજ્ય કક્ષાનું ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડયે વિધાનસભાનો ઘેરાવ કરવાની રણનીતિ પણ ઘડવામાં આવશે.