જામનગરના બેડી વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ ઉત્તરરતાની સાથે વાલસુરા રોડ પર લગાવવામાં આવેલા જામનગર પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા સાથેના પોલને કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી દઇ સરકારી મિલકતને નુકસાન પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના બેડેશ્વર ના રેલવે ઓવરબ્રિજથી ઉતરતાની સાથે વાલસુરા તરફ જવાના માર્ગે જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ હસ્તક લોખંડના પોલ લગાવીને સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે, જે સ્થળે પરમદિવસે 11:00 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ના ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવી સીસીટીવી કેમેરા લગાવેલા લોખંડના પોલને ટક્કર મારી દીધી હતી, જેથી લોખંડના પોલ તેમજ સીસીટીવી કેમેરા વગેરેને કુલ 36,536નું નુકસાન થયું હતું.
આ બનાવ અંગે પોલીસના નેત્રમ વિભાગના એએસઆઈ પરેશભાઈ અમૃતલાલ ખાણધરે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી છે. જે વાહન ચાલકની શોધખોળ ચલાવાઇ રહી છે.


