Gujarat

રણાસણ બ્રિજ પાસે કાર્ડની અડફેટે વલાદ ગામના વૃદ્ધનું મોત નિપજ્યું

By GS TEAM
15 Jan 20262 mins read
રણાસણ બ્રિજ પાસે કાર્ડની અડફેટે વલાદ ગામના વૃદ્ધનું મોત નિપજ્યું

ચિલોડા નરોડા હાઇવે ઉપર વધતા અકસ્માતો વચ્ચે

સંબંધીને મૂકવા માટે હાઇવે ઉપર આવ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના  ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર વલાદના રણાસણ બ્રિજ પાસે સંબંધીને મૂકવા માટે આવેલા વલાદ ગામના વૃદ્ધને કારે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા પરંતુ તેમનું મોત થયું હતું. જે મામલે હાલ ડભોડા પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક વલાદના રણાસણ બ્રિજ પાસે વધુ એક અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત મંગળવારના રોજ સાંજના સમયે વલાદ ગામના રહેવાસી સગ્રામભાઇ ઇન્દુભાઈ ભરવાડ તેમના સંબંધીને મૂકવા માટે નેશનલ હાઇવે પર વલાદ ગામની સીમમાં રણાસણ બ્રિજ ઉતરતા ચામુંડા હોટલ સામે ઉભા હતા. આ દરમિયાન તેઓ જ્યારે અમદાવાદ-હિંમતનગર હાઇવે પર ચાલતા જતા હતા, ત્યારે અમદાવાદ નાના-ચિલોડા તરફથી પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સગ્રામભાઇ રોડ પર ફેંકાઇ ગયા હતા અને તેમને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર તેમના કૌટુંબિક પૌત્ર રણજીતભાઇ ભરવાડે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જોકે, માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના કૌટુંબિક પૌત્ર રણજીતભાઇ જીવણભાઇ ભરવાડે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.