અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Group Clash: અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે ગુરુવારે(7 મે) નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો વચ્ચે સામસામે હથિયારો ઉછળ્યા હતા. સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતી કામગીરી દરમિયાન રસ્તામાં પાણીનું ટેન્કર આડું રાખવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં પૂર્વ ઉપપ્રમુખ સહિત 7 થી 8 લોકોને ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, નાના માચીયાળા ગામમાં સુજલામ સુફલામ અંતર્ગત જળ સંચયની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન રસ્તા પર પાણીનું ટેન્કર આડું રાખવા મુદ્દે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને બંને જૂથના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષે જોરદાર મારામારી થતા રસ્તાઓ પર નાસભાગ મચી ગઈ હતી.
પૂર્વ ઉપપ્રમુખ સહિત અનેક ઇજાગ્રસ્ત
આ હિંસક અથડામણમાં અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાલ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમની સાથે બંને પક્ષના કુલ 7 થી 8 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પરિસરમાં પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ગામમાં વધુ તંગદિલી ન ફેલાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે.








