મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા ચકચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નદી કિનારે મોટી સંખ્યામાં માછલી-ઝીંગા મૃત હાલતમાં જોવા મળ્યા છે.
સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કેટલાક લોકો નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારતા હોવાનો સંદેહ છે. દાવા મુજબ રાત્રે લગભગ 9 થી 10 વાગ્યાના સમય દરમિયાન ઝેરી દવા નદીમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે તે લોકો નદીમાંથી મૃત અથવા બેભાન થયેલા ઝીંગા અને માછલીઓ એકત્ર કરી લઈ જાય છે. આ જ ઝીંગા-માછલીઓ બાદમાં બજારમાં વેચવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક લોકો આ મૃત ઝીંગા-માછલીઓ એકત્ર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે, જે આરોગ્ય માટે જોખમી બની શકે છે.
મહત્વની બાબત એ છે કે, મહીસાગર નદીનું પાણી વડોદરા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી તરીકે પણ પહોંચે છે. આવી સ્થિતિમાં નદીમાં ઝેરી દવા નાખવામાં આવે તો તે પાણી પીવાથી નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સામાજિક કાર્યકરોનો દાવો છે કે, છેલ્લા એક મહિનામાં ત્રણથી ચાર વખત આવી ઘટનાઓ બની હોવાની માહિતી મળી રહી છે. તેઓએ વડોદરા અને આણંદના જિલ્લા કલેક્ટરને આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ નદીના પાણીના સેમ્પલ લઈને પરીક્ષણ કરાવવાની માગ કરી છે.
અનગઢ ગામના સરપંચે કરી કડક કાર્યવાહી કરવાની માગ
અનગઢ ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેઓના જણાવ્યા મુજબ, આ મુદ્દે દોઢ મહિના અગાઉ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે બે શકમંદ વ્યક્તિઓની અટકાયત પણ કરી હતી, પરંતુ તેમની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા વધુ કાર્યવાહી થઈ શકી નહોતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બહારથી કેટલાક લોકો આવીને નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાસ કરીને ફ્રેન્ચવેલ અને આરઓ પ્લાન્ટ નજીક આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે. મહીસાગર નદીનું પાણી પીવાના ઉપયોગમાં આવતું હોવાથી આવી પ્રવૃત્તિ નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. આ મુદ્દે તંત્રને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે.
મહીસાગર નદીમાં બોટલમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાની શંકાસ્પદ રીત
મળતી માહિતી મુજબ, એક પ્લાસ્ટિકની બોટલમાં ઝેરી દવા અથવા કોઈ પ્રવાહી ભરવામાં આવે છે. ત્યારબાદ બોટલમાં નાના છિદ્ર પાડીને તેને નદીમાં ફેંકી દેવામાં આવે છે. બોટલમાંથી ધીમે ધીમે દવા નદીના પાણીમાં ફેલાતી જાય છે અને તેના પ્રભાવથી માછલીઓ અને ઝીંગા બેભાન અથવા મૃત થઈ પાણીની સપાટી પર તરવા લાગે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રવૃત્તિ મોટાભાગે રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે. ત્યારબાદ કેટલાક લોકો નદીમાં તરતા ઝીંગા અને માછલીઓ એકત્ર કરીને લઈ જતા હોવાની માહિતી પણ મળી રહી છે.
સ્થાનિક નાવિકોએ ઝડપી પાડવાનો કર્યો પ્રયાસ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રવૃત્તિ ખાસ કરીને મોડી રાત્રે કરવામાં આવે છે. વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર ખૂબ જ વિશાળ હોવાથી આવી ગેરકાયદેસર હરકતોને શોધવી મુશ્કેલ બનતી હોવાનું પણ જણાવવામાં આવે છે.
કેટલાક પ્રસંગોએ સ્થાનિક નાવિકોએ આ શંકાસ્પદ લોકોને ઝડપી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ નદીકિનારે આવેલા કોતરો અને ઝાડીઓના કારણે આ લોકો ત્યાં સંતાઈ જતાં હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, આ પ્રવૃત્તિમાં કેટલાક સ્થાનિક લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ નકારી શકાય તેવી નથી.








