Get The App

ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ 1 - image

3.61 લાખ બાળકોનું ચેકઅપ, 48,000 ને રોગ-ખામી ખુલ્યા : 129 બાળકોને હૃદય સંબંધિત તકલીફ : 26 બાળકોને કિડનીને લગતી સમસ્યા, 42 બાળકોમાં કેન્સરનાં લક્ષણો પણ જણાયાં

રાજકોટ, : રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની 29 ટીમો દ્વારા એપ્રિલ- 2025થી જાન્યુઆરી- 2026 દરમિયાન હાથ ધરવામાં આવેલા 'શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ'માં વિવિધ તાલુકાઓમાં ૩.૬૧ લાખ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 48,000થી વધુ બાળકોમાં વિવિધ પ્રકારની સ્વાસ્થ્યલક્ષી ખામીઓ જોવા મળી છે. તેમાં ૫ણ 214 જેટલા બાળકોને કાર્ડિયાક, કિડની, કેન્સર અને બહેરાશ જેવી ગંભીર તકલીફ જણાઈ હતી.

આરોગ્ય શાખા દ્વારા સમયાંતરે બાળ આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે, જેમાં તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, બાળકોમાં સૌથી વધુ બીમારીઓ અને પોષણની ઉણપ જોવા મળી છે. કુલ 3,61,784 બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવતા 48,832 બાળકોમાં કોઈ ને કોઈ રોગ કે ખામી જોવા મળ્યા હતા. જેમાં 431 બાળકોને જન્મજાત ખામીઓ હતી તો 14,764 બાળકોમાં પોષણની ઉણપ જણાઈ હતી. અન્ય 27,984 બાળકો વિવિધ રોગોથી પીડાતા જોવા મળ્યા હતા. 5653 બાળકોમાં વિકાસ સંબંધિત વિલંબતા નજરે પડી હતી.

ગોંડલ તાલુકામાં સૌથી વધુ 67,459 બાળકોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે જસદણ અને ઉપલેટામાં ખામીવાળા બાળકોનું પ્રમાણ અન્ય તાલુકાઓની સરખામણીએ નોંધપાત્ર જણાયું છે. રાજકોટ તાલુકામાં 56,762 બાળકોમાંથી 5387 બાળકોમાં ખામીઓ જોવા મળી હતી. આ કાર્યક્રમ હેઠળ માત્ર તપાસ જ નહીં, પરંતુ ગંભીર બીમારી ધરાવતા બાળકોને નિઃશુલ્ક સારવાર માટે રીફર પણ કરવામાં આવ્યા હતા. જેમાં હૃદય સંબંધિત બીમારી ધરાવતા 129 બાળકોને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે 26 બાળકોમાં કિડનીને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. 42 બાળકોમાં કેન્સરના લક્ષણો જણાતા સારવાર હેઠળ લેવાયા હતા. 17 બાળકોને જન્મજાત બહેરાશ માટે 'કોકલિયર ઈમ્પ્લાન્ટ'ની સારવારની મંજૂરી આપવામાં આવી હતી. આ અભિયાન દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોમાં રહેલી શારીરિક ખામીઓને વહેલી તકે ઓળખી તેમને સમયસર સારવાર પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.