Get The App

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહીં

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહીં 1 - image

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિસલપુરમાં ભૂ-માફિયાઓ અને સરકારી તંત્રની મિલીભગતથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનું એક બહુ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સ્થાનિક પોલીસ, ખાણ-ખનીજ વિભાગ અને અમદાવાદ RTO સહિતના જવાબદાર તંત્રોની મીઠી નજર હેઠળ ભૂ-માફિયાઓ બેફામ બન્યા છે. પીડિત ખેડૂતો ન્યાય માટે ગાંધીનગર સુધી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તંત્ર મૌન સેવીને બેઠું છે.

ખેડૂતોના ઊભા પાકનો નાશ કરી 25-30 ફૂટ ઊંડું ખનન

સ્થાનિકો અને ખેડૂતોના આક્ષેપ અનુસાર, લીઝધારકો અને ભૂ-માફિયાઓ તમામ સરકારી નિયમોને નેવે મૂકીને બેફામ ચોરી કરી રહ્યા છે. જે ખેડૂતો ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમના ઊભા પાકનો નાશ કરીને ભૂ-માફિયાઓ જમીનમાંથી રેતી ચોરી રહ્યા છે. નિયત જગ્યાએ ખનન કરવાના બદલે અન્ય સરકારી જમીનોમાં મશીનો દ્વારા બારોબાર રેતી ઉલેચાઈ રહી છે. નિયમ વગર 25થી 30 ફૂટ ઊંડા ખાડા પાડી દેવાયા છે. દિવસ-રાત હજારો ડમ્પરો ક્ષમતા કરતાં વધુ ઓવરલોડ રેતી ભરીને બિન્દાસ દોડી રહ્યા છે, છતાં અમદાવાદ RTO વિભાગે આંખ આડા કાન કર્યા છે.

ન્યાયના બદલે જેલ?

પીડિત ખેડૂતોએ આ કૌભાંડ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા (SP), ખાણ-ખનીજ વિભાગ અને છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી છે. પરંતુ, ખેડૂતોનો આક્ષેપ છે કે ન્યાય આપવાના બદલે ભૂ-માફિયાઓના ઇશારે અસલાલી પોલીસે ઊલટાનું ખેડૂતો પર જ ખોટા કેસ કરીને તેમને જેલમાં પૂરી દીધા છે. 

આ પણ વાંચો : 'રોમમાં તમારું સ્વાગત છે...' ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

ખાણ-ખનીજના અધિકારીને બ્લેક સ્કોર્પિયોની ગિફ્ટ 

ગામના રહીશ અને સામાજિક કાર્યકર હરેશભાઈ દેસાઈએ આ આખી સિસ્ટમની મિલીભગત પરથી પરદો ઉઠાવતા સણસણતા આક્ષેપો કર્યા છે. ખાણ-ખનીજ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ આ ભૂ-માફિયાઓ પાસેથી કાળા કલરની લક્ઝરી સ્કોર્પિયો કાર ગિફ્ટમાં મેળવી છે. જ્યારે પણ ખાણ-ખનીજની ટીમ ચેકિંગમાં આવે, ત્યારે તેમના સરકારી વાહનોમાં જે-તે વિસ્તારના પેટ્રોલ પંપ પરથી લાખો રૂપિયાનું ડીઝલ પુરાવવામાં આવે છે અને તેનું બિલ આ ભૂ-માફિયાઓ ચૂકવે છે.

તલાટીએ જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા

જ્યારે તલાટીને આ અંગે રજૂઆત કરાઈ, ત્યારે તેમણે હાથ અદ્ધર કરતાં કહ્યું કે તમે ખાણ-ખનીજમાં જાઓ, અમારે આમાં કંઈ લેવા-દેવા નથી. જોકે, સામાજિક કાર્યકરના મતે કલેક્ટરના આદેશ મુજબ સરકારી જમીન પરના દબાણ કે ખનન માટે સીધા તલાટી જ જવાબદાર ગણાય. સામાજિક કાર્યકર હરેશભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને સીધી અપીલ કરી છે કે, સરકારી તિજોરીને કરોડોનું નુકસાન કરતાં આ માફિયાઓને પકડી જેલભેગા કરવામાં આવે અને આ ભ્રષ્ટાચારમાં સામેલ તમામ અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થાય.