Get The App

મંદિર-મસ્જિદની માઇક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો', અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
મંદિર-મસ્જિદની માઇક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો', અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું 1 - image


 AI IMAGE


Ahmedabad Police Commissioner Notification About Sound : જો તમે અમદાવાદમાં રહો છો અને ધાર્મિક પ્રસંગ કે વરઘોડામાં મોટા અવાજે ડીજે વગાડવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરમાં ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. હવેથી શહેરમાં માઇક સિસ્ટમ કે ડીજે વગાડવા માટે પોલીસની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે.

ધાર્મિક સ્થળો માટે કડક સૂચના

જાહેરનામા મુજબ મંદિર, મસ્જિદ અને ચર્ચ જેવા ધાર્મિક પરિસરોમાં માઇક સિસ્ટમનો અવાજ એટલો જ રાખવો પડશે જે માત્ર સંકુલ સુધી મર્યાદિત રહે. જો માઇકનો અવાજ રહીશો કે રાહદારીઓ માટે અડચણરૂપ બનશે અથવા ભય ઊભો કરશે, તો પોલીસ તેના ઉપયોગ પર તાત્કાલિક મનાઈ ફરમાવી શકશે.

રાત્રે 10થી સવારે 6 સુધી સંપૂર્ણ પ્રતિબંધ

શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી માઇક સિસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ સમયગાળા દરમિયાન પોલીસ કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપશે નહીં. જોકે, સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી પોલીસની મંજૂરી સાથે અને નક્કી કરેલા ડેસિબલ મુજબ અવાજ રાખી શકાશે.

આ પણ વાંચો : 800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર 'વ્હાઈટ ફૉસ્ફરસ' વાપરવાનો આરોપ

સાયલન્સ ઝોનમાં નો-એન્ટ્રી

હૉસ્પિટલ, શાળા અને કોર્ટની 100 મીટરની આસપાસના વિસ્તારને 'સાયલન્સ ઝોન' જાહેર કરાયો છે. આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની માઇક સિસ્ટમ વગાડવા પર સખત પ્રતિબંધ રહેશે. રહેણાંક વિસ્તારો, પાર્ટી પ્લોટ કે ખુલ્લી જગ્યામાં પણ મંજૂરી વગર માઇક વાગશે તો પોલીસ દંડનીય કાર્યવાહી કરશે.

નિયમભંગ બદલ સાધનો જપ્ત થશે

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વરઘોડા કે રેલીઓમાં પણ નક્કી કરેલી માત્રામાં જ અવાજ રાખવો પડશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરતાં ઝડપાશે, તો પોલીસ માત્ર દંડ જ નહીં વસૂલે પરંતુ ડીજે અને માઇક સિસ્ટમ જેવા સાધનો જપ્ત કરીને ગુનો પણ નોંધશે.