Gujarat

અમદાવાદના ઓઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી, પોલીસ ઘટનાસ્થળે

By GS TEAM
13 Jun 20262 mins read
TukuTouch Logo
મોટાભાગે ઉદ્યોગોથી ધમધમતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના સામે આવી છે. ઓઢવમાં આવેલી એક કંપનીની બિલકુલ નજીક કચરાના એક વિશાળ ઢગલામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, અસલી આંચકો ત્યારે લાગ્યો જ્યારે ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને કચરો હટાવતા અંદરથી એક યુવકનો ભડથું થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને પગલે ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ઓઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી, પોલીસ ઘટનાસ્થળે

Ahmedabad Fire News : મોટાભાગે ઉદ્યોગોથી ધમધમતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના સામે આવી છે. ઓઢવમાં આવેલી એક કંપનીની બિલકુલ નજીક કચરાના એક વિશાળ ઢગલામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, અસલી આંચકો ત્યારે લાગ્યો જ્યારે ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને કચરો હટાવતા અંદરથી એક યુવકનો ભડથું થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને પગલે ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા, કલાકો બાદ કાબૂ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જય કેમિકલ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા, જેને પગલે આસપાસના રહીશો અને કારખાનાના કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને લાંબી મથામણ બાદ તેને શાંત પાડી હતી.

આગમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ સામે આવી 

આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા બાદ જ્યારે ફાયરની ટીમ દ્વારા કુલિંગ અને તપાસની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કચરાના અવશેષો વચ્ચેથી એક માનવ શરીરનો બળી ગયેલો દેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે તુરંત જ ઓઢવ પોલીસને જાણ કરતા પોલીસે શબનો કબજો લીધો હતો. પ્રાથમિક તપાસ અને કાગળોના આધારે મૃતક યુવકની ઓળખ પ્રતાપ ઠાકોર તરીકે થઈ છે.

મૃત્યુ પર ઘૂંટાતું રહસ્ય

પ્રતાપ કચરાના ઢગલા પાસે શું કરી રહ્યો હતો? આગ લાગી ત્યારે તે ત્યાંથી કેમ ભાગી ન શક્યો? અથવા તો શું તેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે લાશને અહીં કચરામાં સળગાવી દેવામાં આવી છે? આ તમામ સવાલોએ પોલીસની ઊંઘ ઉડાવી દીધી છે.

CCTV ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછ શરૂ

ઓઢવ પોલીસે હાલ પૂરતો અકસ્માત મોત (AD) નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સત્ય બહાર લાવવા માટે પોલીસે આસપાસની કંપનીઓના સીસીટીવી (CCTV) ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. આ સાથે જ પ્રતાપ ઠાકોરના પરિવાર અને સ્થાનિક લોકોના નિવેદનો નોંધીને પોલીસ આ કુદરતી અકસ્માત છે કે કોઈ મોટું ષડયંત્ર, તે દિશામાં તપાસ ચલાવી રહી છે.