Get The App

ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત 1 - image


હાલ ગુજરાતમાં વગર પરવાને ચાલતા દવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ થયો છે જેમાં આશરે રૂ. 40 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

આકસ્મિક દરોડા

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. 40 લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. 

વગર પરવાને દવાનું વેચાણ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર જણાવ્યું હતું કે, 'રાજ્યના અલગ અલગ સ્થળોએ દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં અને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે અમદાવાદ ખાતે આવેલા મનહર નગર શોપિંગ સેન્ટરના ઈ-24ના પ્રથમ માળે આવેલ દુકાનમાં તપાસ કરતા ધર્મેશભાઈ જયંતીલાલ સથવારા દ્વારા વગર પરવાને દવાનો વેચાણ અર્થે સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો.'

જગ્યા ફેરફાર કરી જાણ ન કરી

ચોંકાવનારી વાત એ છે કે ધર્મેશભાઈની સધન તપાસ કરતા તેઓ મેડિકેસસેલિસ હેલ્થ કેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક, નિકોલ ખાતે દવાના પરવાના ધરાવતા હતા, પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને જગ્યા ફેરફારની જાણ કર્યા વિના અને કોઈ માન્ય પરવાના વગર આ જગ્યા ઉપર પોતાનો એલોપેથિક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો. 

6 દવાના નમૂના રિપોર્ટ માટે મોકલાયા

બાદમાં સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા દવાના જથ્થામાંથી કુલ 6 દવાના નમૂના લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપી બાકીના આશરે રૂ. 40 લાખની કિંમતનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓના પૃથ્થકરણ રિપોર્ટ  આવ્યા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.