| Representative Image |
Ahmedabad-Mehsana 8-lane Highway Project : અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતો રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો રોડ હવે વધુ પહોળો અને હાઈટેક બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ-મહેસાણા 51 કિમીના હાઇવેને આઠ માર્ગીય (8-Lane) કરવાના ₹2,630 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ પર એક નજર
કુલ ખર્ચ: ₹2,630 કરોડ
લંબાઈ: અડાલજથી પાલાવાસણા સર્કલ (મહેસાણા) સુધી કુલ 51.60 કિમી.
લેન: મુખ્ય માર્ગ 8-માર્ગીય થશે + બંને બાજુ 7 મીટર પહોળો સર્વિસ રોડ.
સમયમર્યાદા: ટેન્ડર મંજૂર થયા બાદ 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય.
ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ: 1 એલિવેટેડ કોરિડોર અને 8 ફ્લાયઓવર
તાજેતરના સર્વે મુજબ આ હાઈવે પર દૈનિક 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સરકાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે.
કલોલમાં એલિવેટેડ કોરિડોર: કલોલ શહેરના ટ્રાફિકને બાયપાસ કરવા માટે 6.10 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનશે, જે શહેરના 5 ફ્લાયઓવરને જોડશે.
નવા ફ્લાયઓવર: શેરથા (2), રાજપુર ભાસરીયા, જગુદણ અને મેવડ ખાતે કુલ 6 નવા ફ્લાયઓવર બનશે. જ્યારે કલોલ અને છત્રાલમાં વધારાના 4-લેન ફ્લાયઓવર તૈયાર કરાશે.
અંડરપાસ: શેરથા, ઇફકો કલોલ, કલોલ શહેર, છત્રાલ, નંદાસણ અને ગણેશપુરા સહિત કુલ 8 સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવશે.
નવો ROB: કલોલ ખાતે હાલના રેલવે ઓવરબ્રિજની બાજુમાં નવો 4-લેન બ્રિજ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત, SIRને પગલે સરકારનો નિર્ણય
કોને થશે ફાયદો?
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને સીધો ફાયદો થશે. અમદાવાદ આવતા-જતા મુસાફરોનો સમય બચશે અને પરિવહન વધુ સુરક્ષિત બનશે.
આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. વર્ષ 1999માં આ રોડ 4-લેન થયો હતો, જે હવે વાહનોની સંખ્યા વધતા 8-લેન કરવામાં આવી રહ્યો છે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.


