Ahmedabad Kankaria Incident: અમદાવાદના કાંકરિયામાં રમઝાન ઈદના તહેવારની રજા માણવા ઉમટેલી ભીડ વચ્ચે એક ભયાનક દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. શનિવારે (21મી માર્ચ) ભારે ભીડનો લાભ ઉઠાવી જોખમી રીતે ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં એક સગીર બાળક નીચે પટકાયું હતું. સદનસીબે બાળક પાટાની બહારની તરફ ફેંકાયું હોવાથી તેનો બચાવ થયો છે.
ચાલુ ટ્રેને જોખમી સ્ટંટ અને બેદરકારીના દ્રશ્યો
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ઈદ નિમિત્તે કાંકરિયામાં મુલાકાતીઓનો મહેરામણ ઉમટ્યો હતો. ટોય ટ્રેનમાં ક્ષમતા કરતા વધુ ભીડ હોવા છતાં કેટલાક ઉત્સાહી યુવકો અને બાળકો ડબ્બાઓ પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ચાલુ ટ્રેનમાં ચડવા-ઉતરવાના પ્રયાસમાં એક સગીર બાળકે સંતુલન ગુમાવ્યું અને તે જમીન પર પટકાયું હતું. આ ઘટનાને નજરે જોનારા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
કાંકરિયા તંત્રની સિક્યુરિટી હોવા છતાં લોકોના આવા બેજવાબદાર વર્તનને રોકવામાં નિષ્ફળતા મળી હોવાની ચર્ચા છે. કેટલાક મુલાકાતીઓ ટિકિટ વગર જ ટ્રેનમાં ચડીને જોખમ ખેડી રહ્યા હતા. મહત્ત્વનું છે કે, આ ઘટના બાદ કાંકરિયા પરિસરના સત્તાધીશો એક્શનમાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.


