Ahmedabad Investment Fraud: અમદાવાદના એક વેપારી અને તેના મિત્રને ભેજાબાજે કંપનીમાં રોકાણ કરાવી દર મહિને બે ટકા લેખે વળતર આપવાની લાલચ આપી 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. મહત્ત્વનું છે કે, ભેજાબાજે પાલડીના એક વેપારી અને મિત્રને લાલચ આપી હતી કે, તેની પિતૃકૃપા મોટર લિમિટેડ નામની કંપની છે તેવું કહીને સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવીને 5 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આ પછી યુવક પાસે રૂપિયા પાછા માગતા તેને ના આપતા વેપારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે મામલો
પાલડીમાં રહેતા 59 વર્ષીય જનકસિંહ પરમારને જુની ગાડી વેચીને નવી ગાડી લેવાની હતી. ત્યારે તેમની મુલાકાત તકશીલ શાહ નામના શખસ સાથે થઈ હતી. આ દરમિયાન તકશીલે એવું કહ્યું હતું કે 'પિતૃકૃપા મોટર લિમિટેડ નામની તેની કંપની છે એમાં લોકો રોકાણ કરવાની તક આપે છે અને તેમને તે દર મહિને બે ટકા લેખે વળતર આપે છે.' આ વાતમાં આવી જઈ જનકસિંહ અને તેમના મિત્રએ પાંચ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેનું વળતર અને રૂપિયા પાછા ન મળતા તેમણે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આરોપી તકશીલ શાહે પોતાની ઓળખ પિત્રુકૃપા મોટર્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર તરીકે આપી હતી. તેણે જનકસિંહ અને તેમના મિત્ર ભૂપેન્દ્ર પંચાલને દર મહિને 2% નફાની લાલચ આપી રોકાણ કરવા લલચ આપી હતી. જે બાદ વિશ્વાસમાં આવીને જનકસિંહે 3 લાખ અને ભૂપેન્દ્રભાઈએ 2 લાખ મળી કુલ 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેની નોટરી પણ કરવામાં આવી હતી. આ પછી નક્કી કરેલા સમયમાં વળતર મળ્યું નહોતું. આ પછી તકશીલ અને તેની કંપની અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ નામની કોઈ કંપની જ નથી. જે બાદ ખોટી કંપનીના નામે છેતરપિંડી કરી રૂપિયા પડાવી લેનાર તકશીલ શાહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


