Get The App

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા 1 - image

 AI IMAGE


Ahmedabad News : શહેરના કાગડાપીઠ અને નરોડા વિસ્તારમાં હિંસક મારામારીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. કાગડાપીઠમાં ભુલાભાઈ પાર્ક પાસે ચાર શખ્સોએ એક યુવકને ઢોર માર મારી છરીના ઘા ઝીંક્યા હતા. જ્યારે નરોડાના નાના ચિલોડા વિસ્તારમાં સોસાયટીના વિવાદમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો પર તલવાર અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કાગડાપીઠમાં મિત્રની માથાકૂટમાં યુવક પર છરીના ઘા

કાંકરિયા જૂની પાયલોટ ડેરી રોડ પર રહેતા દીપક ઠાકોર ગત 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે મણિનગર પાસે હતા, ત્યારે તેમના મિત્ર ચિંતનનો ફોન આવ્યો હતો. ચિંતને જણાવ્યું હતું કે, આપણા મિત્ર યશ ઠાકોરને કોઈની સાથે માથાકૂટ થઈ છે, જેથી ભુલાભાઈ પાર્ક પાસેના ઝુડિયો મોલ પાસે બોલાવ્યો છે.

ચાર શખ્સોએ આવીને હુમલો કર્યો

દીપક ત્યાં પહોંચ્યા ત્યારે યશ અન્ય શખ્સો સાથે બોલાચાલી કરી રહ્યો હતો. તેવામાં એક્ટિવા અને બાઇક પર ચાર શખ્સો આવ્યા હતા અને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. દીપકના મિત્રો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ દીપકને પકડીને ચાર શખ્સોએ ઢોર માર માર્યો હતો અને છરી વડે હુમલો કર્યો હતો. સ્થાનિકોએ વચ્ચે પડીને દીપકને છોડાવ્યો હતો, ત્યારબાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત દીપકને સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાં ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને થશે? ન્યૂઝીલેન્ડની હાર બાદ બદલાયા સમીકરણ

નરોડામાં સોસાયટીના વિવાદમાં તલવારબાજી

બીજી ઘટનામાં, નરોડાના નાના ચિલોડા સ્થિત કેસર વાટિકા સોસાયટીમાં સોસાયટીના પ્રશ્નોને લઈને મારામારી થઈ હતી. સોસાયટીના ચેરમેન દીપક ચૌહાણ અવારનવાર રસિકભાઈ વિરાસની પત્ની સાથે સોસાયટી બાબતે વાતચીત કરતા હતા. 27 ફેબ્રુઆરીની રાત્રે રસિકભાઈ અને તેમનો પુત્ર આર્યન આ બાબતે વાત કરવા ચેરમેનના ઘરે ગયા હતા, પરંતુ તેઓ હાજર નહોતા.

બાદમાં જ્યારે રસિકભાઈ અને આર્યન સિક્યુરિટી કેબિન પાસે ઉભા હતા, ત્યારે દીપકભાઈનો પુત્ર જય અને સોસાયટીના અન્ય સભ્યો વિજય, કેતન વગેરે ત્યાં આવ્યા હતા. તેઓએ ગાળાગાળી કરી પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. વિજય તલવાર લઈને આવ્યો હતો અને રસિકભાઈ પર હુમલો કર્યો હતો. આર્યન વચ્ચે પડતા તેને પણ તલવાર વાગી હતી. આ દરમિયાન રસિકભાઈનો ભત્રીજો અનિલ છોડાવવા આવતા તેને પણ લોખંડની પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.