Get The App

મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનાર એજન્સીને દંડ ફટકારાયો

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનાર એજન્સીને દંડ ફટકારાયો 1 - image

ભારત- જર્મનીના કાર્યક્રમ બાદ

ફૂલો અને ડેકોરેશન સામગ્રીનો બેદરકારીપૂર્વક નિકાલ કરવામાં આવતા ૪૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ભારત અને જર્મની વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનની પણ હાજરી હતી ત્યારે તે પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા ડેકોરેશનના સામાન અને ફૂલોનો અયોગ્યની નિકાલ કરવામાં આવતા કોર્પોરેશન દ્વારા આઇવી ઓરા નામની એજન્સીને ૪૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશ-વિદેશની ઇવેન્ટ યોજાતી હોય છે ત્યારે ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મહત્વપૂર્ણ કરારોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમમાં વિવિધ ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને કામ આપવામાં આવ્યું હતું. જેમાં ડેકોરેશન અને ફૂલોની સજાવટનું કામ આઈવી ઓરા નામની એજન્સીને આપવામાં આવ્યું હતું. જે એજન્સી દ્વારા આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ ડેકોરેશનના વપરાયેલા સામાન અને ફૂલોના કચરાનો નિકાલ નિયમ મુજબ કરવાને બદલે અયોગ્ય રીતે અને બેદરકારી પૂર્વક કરવામાં આવ્યો હતો. જે બાબત કોર્પોરેશનના ધ્યાને આવી હતી.

જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈને કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ નિયમભંગ કરવા બદલ જવાબદાર એજન્સી પાસેથી ૪૦ હજારની દંડકીય વસૂલાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સંબંધિત એજન્સીને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે. જો ફરીવાર આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવશે, તો વધુ કઠોર કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે.