ભારત- જર્મનીના કાર્યક્રમ બાદ
ફૂલો અને ડેકોરેશન સામગ્રીનો બેદરકારીપૂર્વક નિકાલ કરવામાં આવતા ૪૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશ-વિદેશની ઇવેન્ટ યોજાતી
હોય છે ત્યારે ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે
મહત્વપૂર્ણ કરારોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમમાં વિવિધ
ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને કામ આપવામાં આવ્યું હતું. જેમાં ડેકોરેશન અને ફૂલોની
સજાવટનું કામ આઈવી ઓરા નામની એજન્સીને આપવામાં આવ્યું હતું. જે એજન્સી દ્વારા આ
કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ ડેકોરેશનના વપરાયેલા સામાન અને ફૂલોના કચરાનો નિકાલ
નિયમ મુજબ કરવાને બદલે અયોગ્ય રીતે અને બેદરકારી પૂર્વક કરવામાં આવ્યો હતો. જે
બાબત કોર્પોરેશનના ધ્યાને આવી હતી.
જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈને
કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ
નિયમભંગ કરવા બદલ જવાબદાર એજન્સી પાસેથી ૪૦ હજારની દંડકીય વસૂલાત કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સંબંધિત એજન્સીને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં
કોઈપણ કાર્યક્રમ દરમિયાન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે. જો
ફરીવાર આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવશે, તો વધુ કઠોર કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી પણ સૂચના
આપવામાં આવી છે.


