Gujarat

બે ભાઇઓને ટક્કર માર્યા બાદ કાર ચાલકે સાગરીતો બોલાવી બંને ઇજાગ્રસ્ત પર હુમલો કર્યો

By GS Team
17 Mar 20221 min read
This article was originally published on 17 Mar 2022
બે ભાઇઓને ટક્કર માર્યા બાદ કાર ચાલકે સાગરીતો બોલાવી બંને ઇજાગ્રસ્ત પર હુમલો કર્યો

વડોદરાઃ ગોત્રી નિલામ્બર સર્કલ પાસે માથાભારે તત્વોએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બે ભાઇઓ ઉપર હુમલો કરતાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી કારના નંબરને આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

હરણીરોડ પર સિધ્ધાર્થ સ્કવેરમાં રહેતા અને નવરચના યુનિ.માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યશરાજસિંહ સુદર્શનસિંહ વાળા અને તેનો ભાઇ નિત્યરાજ (મૂળ ભાવનગર) ગઇકાલે પરીક્ષા આપી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે પ્રિયા ટોકિઝ અને  નિલામ્બર સર્કલ વચ્ચે રોંગ સાઇડ આવતી કારના ચાલકે બાઇકને ટક્કર મારતાં બંને ભાઇઓ પટકાયા હતા.

બંને ઇજાગ્રસ્ત ભાઇઓના કપડાં પણ માટી વાળા થઇ ગયા હતા.તેઓ કપડાં સાફ કરી બેઠા થયા હતા અને કાર ચાલકને અમને મારી નાંખવા છે કે શું..તેમ કહી ઠપકો આપતાં કાર ચાલકે પોતાના હાથમાં પંચ પહેરી બંનેને માર માર્યો હતો.

ત્યારબાદ કારચાલકે ફોન કરી તેના માણસોને  બોલાવતાં છ થી સાત જણા લાકડીઓ લઇ દોડી આવ્યા હતા અને  બંને ભાઇઓ પર તૂટી પડતાં તેમને આખા શરીરે ઇજા થઇ હતી.લોકો ભેગા થતાં હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.

જે પી રોડ પોલીસે હુમલાખોરો સામે રાયોટિંગ તેમજ અકસ્માતના બે અલગઅલગગુના નોંધી કારના નંબરને આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.