સયાજીગંજ પોલીસ સ્ટેશને નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં અરજદાર આરોપી રમીઝ રફીકમિયા શેખ (રહે. ગેંડાફળિયું, હાથીખાના)ની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.
બચાવ પક્ષની દલીલ હતી કે, ખોટી રીતે ફસાવવા સહ આરોપીના નિવેદનથી અરજદારનું નામ જાહેર કરાયું છે.
સરકારી વકીલે દલીલ કરી હતી કે અરજદારે કથિત ગુનો કર્યો હોવાનો પ્રથમ દ્રષ્ટિએ મજબૂત કેસ છે. તપાસ હજુ ચાલુ છે અને વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. આરોપી સામે અગાઉથી અન્ય છ ગુનાઓ નોંધાયેલા હોઈ તે રીઢો ગુનેગાર છે.
કોર્ટે કેસની ગંભીરતા, તપાસ તથા અરજદાર સામે નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી પ્રહલાદ બલદાણીયાએ ગત ૧૭ માર્ચે પોતાની કાર કૃણાલ અંબાલાલ સોલંકી (રહે. મંગલેશ્વર ઝાંપા, ભાંડવાડા)ને રૃ. ૧૫ લાખની કિંમતની કાર ભાડે આપી હતી. કારનું અંતિમ લોકેશન મધ્યપ્રદેશ જણાઈ આવ્યું હતું અને કૃણાલ સોલંકીનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.


