Jamnagar Police : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા બે ભાઈઓની હત્યા નિપજાવાઈ હતી, જે હત્યા પ્રકરણમાં છેલ્લા 19 વર્ષથી નાસતા ફરતા હરિયાણાના ગુરુગ્રામના એક આરોપીને જામનગરની એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા બાદ કાલાવડ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળાગામની સીમમાં ગત તા.14/1/2007 ના રોજ ધનજીભાઈ બાવાભાઇ નંદાણીયા (રહે-મોટા વાડાળા, તા-કાલાવડ) એ ફરીયાદ કરી જણાવ્યું હતું, કે પોતાના કુટુંબી ભત્રીજા ભીખાભાઈ ગોરધનભાઈ તથા વિઠ્ઠલભાઈ ગોવીદભાઇ નંદાણીયા નાઓ તા.13/1/2007 ના પોતાનું જેસીબી લઇ પાતા મેઘપર ગયા હતા.
જ્યાં જે.સી.બી ઓપરેટર તરીકે કામ કરતા (1) ઇરશાદ દિનમહમદ મેવા મુસ્લીમ તથા તેનો ભાઇ (2) જમસેદ દિનમહમદ મેવ મુસ્લીમ (રહે.બન્ને નાઇગામ તા પુનાના જી.મેવાત રાજય હરીયાણા) સાથે બોલાચાલી થતાં બન્ને આરોપીઓએ મળી ભીખાભાઈ ગોરધનભાઈ તથા વિઠ્ઠલભાઈ ગોવીદભાઇ નંદાણીયાની હત્યા કરી બન્નેના મૃતદેહો જેસીબીથી ખાડો ખોદી જમીનમાં દાટી દીધા હતા. અને જે.સી.બી.ની લુંટ ચલાવી હતી. જેમાં આરોપી ઈર્શાદ દિનમહમદ મેવને તા.20/1/2007 ના રોજ પકડી પાડવામાં આવ્યો હતો. અને આરોપી જમશેદ દિનમહમદ મેવ છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો સંતાતો છુપાતો રહેતો હતો.
જે ફરાર આરોપી જમશેદ દિનમહમદ મેવ પોતે પોતાની ઓળખ બદલી તેમજ અલગ અલગ જગ્યાઓ બદલી પોતાની ધરપકડ ટાળી રહ્યો હતો. જેની એલ.સી.બી ટીમ દ્વારા ટેક્નિકલ વર્ક આઉટ તેમજ હ્યુમન સોર્સીસ દ્વારા ચોક્કસ હકીકત મેળવી આરોપીને ટ્રેક કરી પોલીસ તથા એલ.સી.બી.સ્ટાફના દ્વારા હરીયાણા રાજયના ગુરુગ્રામ કલીયોક ડીસ્ટ્રીક સેન્ટ્રલ રોડ ખાતે શોધખોળ ચલાવાઇ હતી. જે આરોપી જમસેદ દિનમહમદ મેવ મુસ્લીમ (ઉવ 51) (ધંધો ડ્રાઇવિંગ રહે.નાઇગામ તા પુનાના જી.મેવાત રાજય-હરીયાણા) ને પકડી પાડયો છે, તથા વધુ કાર્યવાહી માટે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશને સોંપી આપ્યો છે.


