Get The App

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો 1 - image

AAP Leaders Escape Armed Attack in Chhota Udepur: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવવા માટે રાજકારણ હવે હિંસક વળાંક લઈ રહ્યું છે. છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની આગામી ચૂંટણી પહેલાં જ ભારે તણાવપૂર્ણ અને ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ગત મોડી રાત્રે એકલબારા ગામ નજીક આમ આદમી પાર્ટી (AAP)ના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા બે સદસ્યો પર અજાણ્યા અસામાજિક તત્ત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભાજપ અને AAP વચ્ચે 13-13 બેઠકોની ટાઈ

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તાનું ગણિત અત્યંત રોમાંચક બન્યું છે. અહીં સત્તાધારી ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 13-13 બેઠકો હોવાથી ટાઈ (ટક્કર) થઈ છે. આગામી 23મી મેના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પ્રતિષ્ઠાભર્યું મતદાન યોજાશે. આ મતદાનના બરાબર બે દિવસ પહેલાં જ વિપક્ષી સદસ્યોને ડરાવવા અને સત્તા કબજે કરવાના આશયથી હુમલો થયો હોવાની આશંકા છે.

કારનો પીછો કરીને હથિયારો વડે હુમલો કર્યો

મળતી વિગતો મુજબ, આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને તેમની સાથે ચૂંટાયેલા બે સદસ્યો છોટા ઉદેપુર ખાતે સંગઠનની એક અગત્યની બેઠક પૂર્ણ કરીને કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના અંધારામાં કેટલાક અસામાજિક તત્વો અન્ય એક કાર લઈને તેમની પાછળ પડ્યા હતા અને ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

એકલબારા ગામ નજીક હુમલાખોરોએ આપના પ્રમુખની કારને આંતરી લીધી હતી. હાથમાં ઘાતક હથિયારો સાથે આવેલા શખસોએ કાર પર હુમલો કરી, બારીના કાચ તોડી નાંખીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હથિયારધારી શખસોને પોતાની તરફ ધસતા જોઈને આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને બંને સદસ્યો કારમાંથી ઉતરીને અંધારામાં ભાગી છૂટ્યા હતા અને જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.

‘આપ’ પ્રમુખે નોંધાવી ફરિયાદ, ભાજપ પર આકરા પ્રહારો

આ ગંભીર ઘટના સંદર્ભે આજે (21મી મે) આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પહોંચીને હુમલાખોરો વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસ સમક્ષ તાત્કાલિક ન્યાયની ગુહાર લગાવી તમામ અસામાજિક તત્ત્વોને ઝડપી પાડી કડક સજા કરવાની માંગ કરી છે. હાલ લોહીલુહાણ બનેલા રાજકીય માહોલને જોતા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે અને તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.