Gujarat

ઘાટલોડીયાના અરજદાર પાસે ટેકસબીલમાં નામ બદલવા લાંચ માંગવાની ઓડીયો કલીપ વાઈરલ

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
ઘાટલોડીયાના અરજદાર પાસે ટેકસબીલમાં નામ બદલવા લાંચ માંગવાની ઓડીયો કલીપ વાઈરલ

અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શક વહીવટ ચાલતો હોવાની ગુલબાંગો વચ્ચે તંત્રમાં ખળભળાટ મચાવતી દેતી એક ઘટના બહાર આવી છે.જેમાં ઘાટલોડીયાના એક અરજદાર પાસેથી ટેકસબીલમાં નામ બદલવા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ્રોબેશન ઉપર ફરજ બજાવતા ટેકસ વિભાગના એક કર્મચારી દ્વારા સાહેબને વહીવટ આપવો પડશે એમ કહી એક હજારની રકમ લાંચ પેટે માંગવામાં આવી હોવાની ઓડીયો કલીપ વાઈરલ થતાં લાંચની કથિત માંગણી કરનારા પ્રોબેશન ઉપર ફરજ બજાવનારા ટેકસ વિભાગના કર્મચારીને શોકોઝ નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો માંગવાની સાથે કર્મચારીની વહીવટી વિભાગમાં બદલી કરવામાં આવી છે.

ઘાટલોડીયા વોર્ડમાં રહેતા  એક વ્યકિતના માતાપિતાનું કોરોના સંક્રમિત થવાથી અવસાન થયુ હતું.પરિવારજનોના અવસાન બાદ આ અરજદારે ઉત્તર-પશ્ચિમ ઝોન ટેકસ વિભાગમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં તેમને મળતા મ્યુનિસિપલ ટેકસબીલમાં નામ બદલવા અંગે અરજી કરી હતી.અરજી કર્યા બાદ તેમના દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સહાયક જુનિયર કલાર્ક ઉપરાંતવોર્ડ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા પરીમલ શિયાણીને મળીને ટેકસબીલમાં નામ કયારે ટ્રાન્સફર થશે એ અંગે પુછપરછ કરી હતી.વોર્ડ ઈન્સપેકટરે અરજદારને પહેલા નિયમ મુજબ બોન્ડ ભરીને આપવા કહ્યુ હતું.અરજદારે બોન્ડ આપ્યા બાદ ફરી વોર્ડ ઈન્સપેકટરને પુછતા વોર્ડ ઈન્સપેકટરે અરજદારને એફિડેવીટ રજુ કરવા કહ્યુ હતું.

અરજદારે તેમને મળતા મ્યુનિ.ના ટેકસબીલમાં નામ બદલવા માટે વોર્ડ ઈન્સપેકટર દ્વારા જેટલા દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા એ તમામ પુરાવા જમા કરાવી દીધા હતા.દરમ્યાન વોર્ડ ઈન્સપેકટરે અરજદારને ફોન કરી ઓફિસમાં આવવા કહેતા અરજદારે પુછેલુ કે,મારુ શું કામ છે?ત્યાં આવીને મારે શું કામ છે? જેના જવાબમાં વોર્ડ ઈન્સપેકટરે અરજદારને કહ્યુ,તમારુ કામ અડધો કલાકમાં પતી જશે પરંતુ આ કામ માટે સાહેબને વહીવટ આપવો પડશે કહી અરજદારના કહેવા પ્રમાણે કર્મચારી દ્વારા કથિત  એક હજારની લાંચ  માંગવામાં આવ્યા હોવાની ઓડીયો કલીપ સોશિયલ મિડીયામાં વાઈરલ થવા પામી હતી.

પૈસા માંગવાની ઘટના ઘણી ગંભીર અને સંવેદનશીલ,રેવન્યુ કમિટી ચેરમેન

પૈસા માંગવાની ઘટના ઘણી ગંભીર અને સંવેદનશીલ હોવાનું રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે કહ્યુ છે.ટેકસ વિભાગના કર્મચારીને શોકોઝ નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો માંગવા સમય અપાયો છે.આ કર્મચારીની વહીવટી વિભાગમાં તાત્કાલિક બદલી કરાઈ છે.આ સમગ્ર પ્રકરણમાં જે કોઈ પણ કર્મચારી કે અધિકારી દોષિત ઠરશે એમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.એમ તેમનું કહેવુ હતું.