Get The App

જામનગરમાં અંબર ચોકડી પાસે એક વ્યક્તિનું ચોરીની શંકાના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં અંબર ચોકડી પાસે એક વ્યક્તિનું ચોરીની શંકાના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ 1 - image

Jamnagar Crime : જામનગર શહેરના અંબર ચોકડી પાસે આવેલા બાવરીવાસ વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચોરીની શંકાને આધારે ચાર અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિનું અપહરણ કરી માર મારતાં તેનું મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકના જમાઈની ફરિયાદના આધારે હત્યા અને અપહરણ સહિતની કલમો હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર થયા મુજબ તા.30 માર્ચ 2026ના રોજ સાંજના સમયે બે મોટરસાયકલમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો અંબર ચોકડી નજીક બાવરી વાસ વિસ્તારમાં રહેતા અને આ કેસના ફરીયાદી ઉદલ કનૈયાભાઈ પરમારના ઝૂંપડા સામે ફૂટપાથ પર બેઠેલા ફરિયાદીના સસરા રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટી અને સંજય પાસે પહોંચ્યા હતા. શરૂઆતમાં વાતચીત બાદ આરોપીઓએ અચાનક બંનેને ઢીકાપાટુ તેમજ પ્લાસ્ટિકની નળી વડે માર મારવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ આરોપીઓએ બંનેને બળજબરીપૂર્વક મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી લીમડાલાઇન વિસ્તારમાં આવેલા એક ડેલામાં લઈ ગયા હતા. ત્યાં લઈ જઈ બંનેને ગોંધી રાખી ફરીથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજુભાઈ કોષ્ટિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે સંજયને શરીરે ઈજાઓ થતાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લીમડા લેન વિસ્તારમાં આવેલી ફ્રીજ, એસી. રીપેરીંગની દુકાનમાંથી એ.સી.ની પાઈપ (નળી) ચોરીની શંકાના આધારે આ કૃત્ય કર્યું હતું.

દરમિયાન મૃતકના સાળા તથા અન્ય પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને 108ની મદદ લીધી હતી, અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો જેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, અને તેમાં પ્રાથમિક રિપોર્ટમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હોવાથી પોલીસ દ્વારા આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લેવાયા છે, જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી છે. લીમડાલેન વિસ્તારમાં આવેલી ફ્રીન એસી રીપેરીંગની દુકાનમાંથી કોપરના પાઇપની ચોરી થઈ હતી જેમાં મૃતક સામેલ હોવાનું અનુમાન લગાવીને આરોપીઓએ હુમલો કરી દીધો હતો, અને આખરે બનાવ હત્યામાં પલટાયો છે એ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.