માધવપુરના ગોરસર ટોલ પ્લાઝા નજીક અકસ્માત
ઈદ મનાવી કેશોદથી બાઇક પર પોરબંદરનો પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત, થાર જીપના ચાલક સહિત બે ઈજાગ્રસ્ત
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના આવાસ કોલોનીમાં રહેતા નઝીર જુમા સાટી( ઉ.વ. ૩૫), તેમના પત્ની રોજીનાબેન (ઉ.વ. ૩૨) અને પુત્ર નવાજ (ઉ.વ. ૩) કેશોદ ગામે રોજીનાબેનના પિતાના ઘરે ઈદની ઉજવણી કરવા ગયા હતા. ગત મોડી રાત્રે ત્રણેય જણા બાઈક પર પોરબંદર પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે અઢી વાગ્યાના અરસામાં ગોરસર ટોલનાકા નજીક પહોંચતા જ પાછળથી આવતી એક બેફામ થાર જીપના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. બાઈક સાથે ત્રણેય સભ્યો ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા.અને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.
બીજી તરફ અકસ્માત સર્જનાર થાર જીપમાં પણ બે લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર બાદ થાર પણ બેકાબૂ બનીને રોડની સાઈડમાં અથડાઈ હતી. જેમાં સવાર બે પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બીજાને સામાન્ય ઈજાઓ થઈ છે.
બનાવની જાણ થતા જ માધવપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે માધવપુર સરકારી દવાખાને ખસેડયા હતા. એક સાથે આખા પરિવારના મોતથી પોરબંદરના આવાસ વિસ્તાર અને મુસ્લિમ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
- 17 કલાક બાદ પણ ફરિયાદ નહીં, પોલીસ સામે સવાલ
ચોંકાવનારી બાબત એ છે કે ગત રાત્રે અઢી વાગ્યે બનેલા આ ગમખ્વાર અકસ્માતમાં બીજા દિવસે સાંજે ૭.૩૦ વાગ્યા સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. પોલીસની આ ઢીલી નીતિને લઈને લોકોમાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓએ જોર પકડયું છે.


