Get The App

મીયાપુર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી તમાકુના પાકમાં પાણી ફરી વળ્યાં

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
મીયાપુર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી તમાકુના પાકમાં પાણી ફરી વળ્યાં 1 - image

એક જ મહિનામાં બીજીવાર ગાબડું પડયું

રિપેરિંગમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપર્યાનો આક્ષેપ, પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી

નડિયાદ: મહુધા તાલુકાના મીયાપુર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. જેથી કેનાલના પાણી આજુબાજુના ખેતરોમાં ભરાઈ જતા તમાકુના ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

મહુધા તાલુકાના મીયાપુર ગામની સીમમાંથી કેનાલ પસાર થાય છે. આ નહેરમાં એક જ મહિનામાં બીજીવાર કેનાલના પાળામાં ગાબડું પડયું છે. હાલમાં તમાકુનો પાક તૈયાર થવા આવ્યો છે, ત્યારે જ આજુબાજુના ખેતરોમાં તમાકુના ઉભા પાકમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોએ કરેલ મોંઘા બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચ માથે પડયો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક માસ અગાઉ જ આ માઈનોર કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. છતાં ટૂંકા ગાળામાં ફરી ગાબડું પડતા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, રિપેરિંગમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે વારંવાર ગાબડાં પડી પાણી ફરી વળે છે. તમાકુના પાકમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને આથક ફટકો પડયો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રની બેદરકારી અને નબળા બાંધકામને કારણે તેમણે મોંઘા ભાવના બિયારણ અને ખેતીના અન્ય ખર્ચાઓ ગુમાવવાનો વારો આવ્યો છે.