ઓર્પોપેડિક
વોર્ડના હેડના નનૈયા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસર ફરિયાદી બન્યા
૧૩ તબીબો
સાથે તાલિબાની અત્યાચાર કરનારા સિનિયરો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ, પોલીસ કાર્યવાહી શરૃ
ભાવનગર
- ભાવનગર માટે કલંકિત એવી મેડિકલ કોલેજમાં
રેગિંગના બનાવની ઘટનામાં લાંબી મથામણના અંતે એક અઠવાડિયા બાદ ૧૩ જૂનિયર તબીબો સાથે
રેગિંગ કરનારા ૭ સિનિયર તબીબો સામે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. સર
ટી.હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડના વડાને ડીને ફરિયાદ નોંધવા આદેશ આપ્યો છતાં
આદેશને ગણકારી ફરિયાદી બનવા નનૈયો ભણ્યા બાદ લાંબી મથામણના અંતે આસિસ્ટન્ટ
પ્રોફેસરને ફરિયાદી બનાવવામાં આવ્યા છે.
ભાવનગરની
મેડિકલ કોલેજમાં ૧૩ જૂનિયર તબીબ સાથે ૭ સિનિયર તબીબ દ્વારા કરવામાં આવેલા રેગિંગ
મામલે ગત ગુરૃવાર અને શુક્રવારે મેડિકલ કોલેજ ખાતે મળેલી એન્ટિ-રેગિંગ કમિટિની કુલ
બે બેઠકોમાં વિદ્યાર્થિઓ અને ફેકલ્ટી સહિત કુલ ૩૮ લોકો પાસેથી નિવેદન અને પુરાવા
લેવામાં આવ્યા હતા. જેમાં રેગિંગ કરનારા ૭ સિનિયર તબીબોને ૬ માસથી બે વર્ષ સુધી
સસ્પેન્ડ કરવાની તથા કોલેજની કાર્વયાહીથી અળગા રહેવા અને સર ટી.હોસ્પિટલમાં પ્રવેશ
પર પ્રતિબંધ ફરમાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ મામલે મેડિકલ કોલેજના ડીન દ્વારા
સર ટી.હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડના વડાને પોલીસ ફરિયાદ નોંધાવા આદેશ કરવામાં
આવ્યો હતો. પરંતુ ડીનના આદેશને ગણકારીને ઓર્થોપેડિક વોર્ડના વડાએ ફરિયાદી બનવા
નનૈયો ભણતા લાંબી મથામણ બાદ અંતે મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ફરિયાદી બન્યા
છે. એન્ટી-રેગિંગ કમિટિની બેઠકના ૨૪ કલાક કરતા વધારે સમય બાદ અને રેગિંગ અંગે
મેડિકલ કોલેજને મળેલી ફરિયાદના એક સપ્તાહ બાદ મેડિકલ કોલેજના મદદનીશ પ્રાધ્યાપક
ડૉ.અજયભાઈ જસમતભાઈ સેંતાએ નિલમબાગ પોલીસ મથકમાં જૂનિયર સાથે તાલિબાની અત્યાચાર
કરનારા વિર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા,
જયંત દેવાણી, પ્રવિણ વર્મા, ધર્મેન્દ્ર દયાળ, વિશાલ ડાભી, અમન
વર્મા અને દિવ્ય મોદી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૧), ૨૯૬ અને ૫૪ મુજબ
ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મેડિકલ કોલેજનો સિનિયર તબીબોને છાવરવાનો
પ્રયાસ
રેગિંગની
ઘટનામાં સિનિયરો દ્વારા જૂનિયરોને સ્નાયુંનો દુઃખાવો આવી જાય ત્યાં સુધીની શારીરિક
માનસિક હેરાનગતિ કરી દારૃ મંગાવી તથા રૃપિયા પડાવ્યા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા
હતા અને પોલીસ તે મુજબ ખંડણી સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધવા તૈયાર પણ હતી. પરંતુ
મેડિકલ કોલેજ જાણે સિનિયર તબીબોને છાવરવા માંગતી હોય તેમ માત્ર શારીરિક માનસિક
હેરાનગતિ અંગેની જામીનપાત્ર કલમો લાગે તેવી જ ફરિયાદ આપી હોવાનું સૂત્રો પાસેથી
જાણવા મળ્યું છે.


