Gujarat

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 1899 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, શિક્ષણ હવે સેવા નહીં કરોડોનો ધંધો બન્યું

By GS Team
30 Jul 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 1,899 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે, જેમાં 1,024થી વધુ દીકરીઓનો સમાવેશ થાય છે. શિક્ષણનું વ્યાપારીકરણ, પેપર લીક, પરીક્ષાનું દબાણ અને બેરોજગારી મુખ્ય કારણો છે. 2024માં જ 568 વિદ્યાર્થીઓએ જીવ ટૂંકાવ્યો છે. કોંગ્રેસે કાઉન્સેલિંગ સેન્ટર અને પારદર્શક ભરતી પ્રક્રિયાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 1899 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, શિક્ષણ હવે સેવા નહીં કરોડોનો ધંધો બન્યું

Gujarat Student Self Destruction Statistics: ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો આંકડો એક વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 1,899 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે તમામ વાલીઓ માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. શિક્ષણનું સતત વધી રહેલું વ્યાપારીકરણ, વારંવાર થતા પેપર લીક, પરીક્ષાનું અસહ્ય માનસિક દબાણ અને ભવિષ્યમાં દેખાતી બેરોજગારી આ કરુણ સ્થિતિ માટે સૌથી મુખ્ય પરિબળો સાબિત થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, માત્ર વર્ષ 2024માં જ 568 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. આ આંકડો દર્શાવે છે કે ગુજરાતમાં સરેરાશ દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીઓ પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. જેમાં પરીક્ષામાં નાપાસ થવાના ડરથી 108 માસૂમ વિદ્યાર્થીઓએ જ્યારે રોજગારી ન મળવાના લીધે 159 યુવાનોએ આત્મહત્યાનું અત્યંત આક્રંદભર્યું પગલું ભર્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાત કરનારાઓમાં 1,024થી વધુ દીકરીઓ સામેલ છે.

પેપર લીક અને અનિશ્ચિત ભવિષ્ય: યુવાનોમાં વધતી નિરાશા

દેશભરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 15થી વધુ પેપર લીકની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં પણ વારંવાર પેપર લીકના કિસ્સા બન્યા છે, જેના પરિણામે યુવાનોનો સમગ્ર પરીક્ષા પ્રણાલી પરથી વિશ્વાસ સાવ ઊઠી ગયો છે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો દેવું કરીને કે પોતાની આખી જિંદગીની બચત વાપરીને લાખો રૂપિયા બાળકોના કોચિંગ અને શિક્ષણ પાછળ ખર્ચે છે.

આમ છતાં, અંતે પરીક્ષાઓ વારંવાર મુલતવી રહે છે અથવા ભરતી પ્રક્રિયાઓ વર્ષો સુધી અટકી પડે છે. આ સતત ઊભી થતી અનિશ્ચિતતા યુવાનોને ઘેરી નિરાશા તરફ ધકેલી રહી છે. ત્યારે હવે એ મોટો સવાલ ઊભો થાય છે કે આ પેપર લીક માટે જવાબદાર કેટલા અધિકારીઓને ખરેખર સજા થઈ? અને આ ભરતી કૌભાંડોના માસ્ટરમાઇન્ડ સામે સરકારે શું કડક કાર્યવાહી કરી?

20260730-263207-1785352231.jpeg

શિક્ષણનું વ્યાપારીકરણ અને માનસિક દબાણ: કડક પગલાંની માંગ

હાલના સમયમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગી કોચિંગ ક્લાસીસ પરની નિર્ભરતા સતત વધી રહી છે. દર વર્ષે દેશભરમાંથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ (NEET)ની પરીક્ષા માટે નોંધણી કરાવે છે. સ્પર્ધાના આ યુગનો અયોગ્ય લાભ ઉઠાવીને શિક્ષણને હવે એક સેવાના બદલે કરોડો રૂપિયાનો નફાકારક વ્યવસાય બનાવી દેવામાં આવ્યો છે, જે સામાન્ય પરિવારોના બાળકો પર અસહ્ય માનસિક પ્રેશર ઊભું કરે છે. આ ગંભીર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે કે, આ વિકટ કટોકટીમાંથી બહાર આવવા માટે માત્ર કાયદાઓ કે એક્ટ બનાવવા પૂરતા નથી, પરંતુ જમીની સ્તર પર કડક એકશન લેવાની જરૂર છે.

કાઉન્સેલિંગ અને પારદર્શક ભરતી પ્રક્રિયા અનિવાર્ય

વિદ્યાર્થીઓના ભવિષ્ય અને માનસિક સ્વાસ્થ્યને બચાવવા માટે દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં ફરજિયાત માનસિક આરોગ્ય કાઉન્સેલિંગ સેન્ટર શરૂ થવા જોઈએ. આ સાથે જ મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક મદદ મળી રહે તેવી વિશિષ્ટ હેલ્પલાઈનની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. ઉપરાંત, તમામ પ્રવેશ પ્રક્રિયાઓ અને સરકારી ભરતી પરીક્ષાઓને સંપૂર્ણપણે પારદર્શક અને સમયબદ્ધ બનાવવામાં આવે, જેથી દેશના યુવાનોનું ભવિષ્ય રોળાય નહીં અને તેઓ નિરાશાના અંધકારમાંથી બહાર આવી શકે.