Get The App

કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં વધુ 8 દુકાનો સીલ કરવામાં આવી 1 - image

બાકી વેરો નહીં ભરતા મનપાની રિકવરી ટીમની કાર્યવાહી

31 માર્ચ 2026 સુધીમાં બાકી રહેલો વેરો/ભાડું જમા કરાવવામાં નહીં આવે તો કાર્યવાહી કરાશે

આણંદ : કરમસદ-આણંદ મનપાની રિકવરી ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી બાકી વેરો નહીં ભરતા વધુ આઠ દુકાનો સીલ કરવામાં આવી છે, તેમજ અન્ય મિલકતો ધારકો પાસેથી રૂ.૨,૭૩,૨૦૫ બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. મનપા દ્વારા તાકીદ કરાઈ છે કે, જે મિલકત ધારકોને વેરો/ભાડું ભરવાનો બાકી હોય તે આગામી ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા મહાનગરપાલિકા ખાતે જમા કરાવે અન્યથા કાર્યવાહી કરાશે.

કરમસદ-આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી દુકાનો/મિલકત ધારકોનો બાકી વેરો વસૂલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મનપાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા આણંદની ગણેશ ચોકડી વિસ્તારમાં આવેલી ૦૫ દુકાનો દ્વારા રૂ. ૩,૩૯,૯૦૪નો બાકી વેરો ના ભરવાના કારણે તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકતો ધારકો પાસેથી રૂ.૨,૭૩,૨૦૫ બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ મનપાના શોપ એક્ટ વિભાગ દ્વારા સંચાલિત ચર્ચ શોપીંગ સેન્ટરની ૦૨ દુકાન અને ડૉ. એચ. એમ. પટેલ મ્યુનિસિપલ માર્કેટની ૦૧ દુકાનનું કુલ રૂ. ૩,૮૬,૨૨૩નો બાકી ભાડાની રકમ જમા ના કરવાના કારણે આજે તાત્કાલિક અસરથી તે પણ સીલ કરવામાં આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બાકી વેરો અને બાકી ભાડાની રકમ વસૂલ કરવા માટે કરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આજે વધુ  ૦૮ દુકાનો સીલ કરવામાં આવી છે. વધુમાં બાકી વેરો ભરવાનો હોય તેવા દુકાનદારોને અને મિલકત ધારકોને મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે, જે વેરો/ભાડુ ભરવાનો બાકી હોય તે આગામી ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા મહાનગરપાલિકા ખાતે જમા કરાવે. જે મિલકત ધારકો દ્વારા ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં બાકી રહેલો વેરો/ભાડું જમા કરાવવામાં નહીં આવે તેઓની સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.