સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય...
માંડલના રખીયાણાના વડીલ રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી યુવાનોના પ્રેરણાસ્ત્રોત બન્યાં
માંડલ - યુવાનોમાં ચડતું લોહી હોય ત્યાં સુધી એ કોઈપણ ક્ષેત્રમાં મહેનત કરીને સિદ્ધિ હાંસલ કરી શકે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ કહેવતને માંડલ તાલુકાના રખિયાણાના ૭૦થી વધુ વર્ષના વડીલે સાર્થક કરીને બતાવી છે અને તેઓ યુવાનોના પ્રેરણાસ્રોત પણ બન્યાં છે.
રખિયાણા ગામના વીરાભાઈ ડાહ્યાભાઈ રાઠોડની ઉંમર ૭૦થી વધુની છે અને તેઓ રાજસ્થાનના અલવર ખાતે રાષ્ટ્રીય સ્તરની એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-૨૦૨૬ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ભાગ લીધો હતો અને ચક્રફેંક બ્રોન્ઝ, ૧૦૦મીટર દોડ અને ૪૦૦મી. રિલેમાં સફળ પરફોર્મન્સ કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યાં હતાં. તેમને અગાઉ પણ રાજ્યના ભુજ ખાતે યોજાયેલી સ્પર્ધામાં બરછી ફેંક, ચક્રફેંક અને ૧૦૦ મી.દોડ ત્રણેયમાં રાજયસ્તરે પણ ગોલ્ડ મેડલો મેળવ્યાં છે અને જાન્યુઆરી-૨૬માં પણ તેઓ ચેન્નાઈ ખાતે આયોજિત એથ્લેટિક્સ એશિયાડમાં ભાગ લીધો હતો. માંડલ તાલુકાના ૭૦ વર્ષના વડીલની સ્ફુત અને તેમનું મનોબળ આજેય યુવાનોની શીખ બન્યું છે. નિવૃત્ત જીવનની ઉંમરે, ઘરે પૌત્ર-પૌત્રીઓને રમાડવાની ઉંમરે તેમને તેમનો હોંશલો જીવંત રાખ્યો છે. સ્પોર્ટસ ક્ષેત્રે તેમને ત્રણ મેડલો મેળવીને માંડલ તાલુકાનું ગૌરવ વધાર્યુ છે અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક બન્યાં છે.


