Get The App

રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો 1 - image


2013 Custodial Death Case Verdict: અમદાવાદમાં વર્ષ 2013માં સરદારનગર પોલીસના કસ્ટોડિયલ ડેથના ચકચારી કેસમાં ભદ્ર સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ એમ.પી. પુરોહિતે સરદારનગર પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ બાબુ પટેલ સહિત કુલ સાત પોલીસ કર્મચારીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, 'ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો ગુનો નિશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો છે.'

કોર્ટે વધુમાં એમ પણ જણાવ્યું કે, 'આરોપીઓ સામે હત્યા, ગેરકાયદે અટકાયત સહિતના પૂરતા અને માની શકાય તેવા પુરાવા રેકર્ડ પર આવ્યા નથી અને તેથી આરોપીઓ સામે જે આરોપ લગાવવામાં આવ્યો છે તે પુરવાર થઈ શક્યા નથી. આ સંજોગોમાં તમામ પોલીસ કર્મચારીઓ નિર્દોશ ઠરાવી છોડી મૂકવા હુકમ કરવામાં આવે છે.'

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2013માં એક ઘરફોડ ચોરીના કેસની તપાસ દરમિયાન પોલીસને આશાબેન રાજુભાઈ ઠક્કરના નામે રજીસ્ટર થયેલો મોબાઈલ મળ્યો હતો. આ આધારે પોલીસે રાજુ ઉર્ફે ક્રાંતિ ઠક્કરની શોધખોળ શરૂ કરી હતી. 8 મે 2013ના રોજ સારંગપુર બ્રિજ નીચેથી રાજુને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપ હતો કે ચોરીની કબૂલાત કરાવવા માટે તેને અજીતમીલ ચોકી ખાતે ગેરકાયદે અટકાયતમાં રાખી અસહ્ય માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ સાબરમતી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો પણ આરોપ હતો.

આ પણ વાંચો: મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા

નિર્દોષ જાહેર થયેલા પોલીસ કર્મચારીઓ

આ કેસમાં કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી એક આરોપી અશોકભાઈ ભટ્ટનું ટ્રાયલ દરમિયાન નિધન થતા તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. બાકીના નીચે મુજબના સાત કર્મચારીઓ નિર્દોષ છૂટ્યા છે.

1. બાબુભાઈ રણછોડભાઈ પટેલ (પીએસઆઈ)

2. ભદ્રેશસિંહ અજીતસિંહ જાડેજા

3. જગદીશભાઈ છબાભાઈ પટેલ

4. ધર્મેન્દ્રસિંહ દોલતસિંહ રાણા

5. મુકેશકુમાર મંગાભાઈ પટેલ

6. કાનજીભાઈ બદાઈ વિહોલ

7. ધીરજભાઈ જીવણભાઈ દેસાઈ