Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત 1 - image

જિલ્લામાં ૬૨૪ કરોડની સહાય ચૂકવાયાનો દાવો

તકનીકી ખામીઓ ાના કારણે ખેડૂતોથી વંચિત ઃ ૧૫ દિવસમાં અરજી નિકાલની હૈયાધારણા

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં વરસેલા આફતરૃપી માવઠાને કારણે કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૃ.૧૦,૦૦૦ કરોડના સહાય પેકેજ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧.૯૨ લાખ ખેડૂતોએ નુકસાનીનું વળતર મેળવવા ફોર્મ ભર્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧.૭૨ લાખ ખેડૂતોને રૃ.૬૨૪ કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ ૨૦,૦૦૦ થી વધુ ખેડૂતો સહાયથી વંચિત હોવાનું સામે આવ્યું છે.

ખેતીવાડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોને અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સહાય અટકવા પાછળ મુખ્યત્વે ટેકનિકલ કારણો જવાબદાર છે. જે ખેડૂતોના ખાતામાં 'ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર' (ડીબીટી) સક્રિય નથી અથવા જેમના ખાતા સાથે આધાર કાર્ડ લિંક નથી, તેમના પેમેન્ટ અટકી ગયા છે.

વંચિત ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે ખેતીવાડી વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે જે ખેડૂતોની અરજીઓ બાકી છે અથવા પેમેન્ટ અટક્યા છે, તેનો આગામી ૧૫ દિવસમાં નિકાલ કરવામાં આવશે. જોકે, આ માટે ખેડૂતોએ પોતે પણ બેંકમાં જઈ કેવાયસી અને એકાઉન્ટ લિમિટ વધારવા જેવી કામગીરી પૂર્ણ કરવી પડશે.  

'જનધન' ખાતાધારકોને સૌથી વધુ પ્રશ્ન

સૌથી મોટો પ્રશ્ન 'જનધન' ખાતાધારકો માટે ઊભો થયો છે. જનધન ખાતામાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા સામાન્ય રીતે રૃ.૧૦,૦૦૦ સુધીની હોય છે, જ્યારે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાયની રકમ રૃ.૨૨,૦૦૦થી રૃ.૪૪,૦૦૦ સુધીની છે. મર્યાદા કરતા વધુ રકમ હોવાથી બેંક સિસ્ટમ આ નાણાં સ્વીકારી રહી નથી. ખેતીવાડી વિભાગે ખેડૂતોને તાત્કાલિક બેંકનો સંપર્ક કરી આ ક્વેરી દૂર કરવા સૂચના આપી છે.