Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ: મુંબઈથી આવેલા માસી ભાણેજ કોરોનાગ્રસ્ત

By GS Team
29 Jun 20201 min read
This article was originally published on 29 Jun 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ: મુંબઈથી આવેલા માસી ભાણેજ કોરોનાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા.29 જુન 2020, સોમવાર 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ ગઈકાલે રવિવારે મુંબઈથી આવેલા એક પરિવારના સતર સભ્યો પૈકી માસી ભાણીને કોરોના હોવાના ગઈકાલે રિપોર્ટ સાંપડ્યા છે.

ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા પરિવારજનો હાલ મુંબઈમાં કોરોનાથી સર્જાયેલી કફોડી હાલતના કારણે વતન પરત ફર્યા હતા.

મુંબઈના થાણા વિસ્તારમાં સ્થાયી થયેલા 40 વર્ષના એક મહિલા તેમના પરિવારના અન્ય 9 સભ્યો સાથે ગત્ તારીખ 23 મીના રોજ સ્કોર્પિયો મોટરકાર મારફતે ખંભાળિયા આવ્યા હતા. તેમની સાથે મુંબઈથી જ 3 મોટર સાયકલમાં અન્ય 6 સભ્યો પણ આવ્યા હતા.

આમ, મુંબઈના થાણા વિસ્તારમાંથી આવેલા કુલ 17 સભ્યો ખંભાળિયાના ધોરીવાવ વિસ્તારમાં આવેલી એક શાળામાં કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા હતા. આ સભ્યો પૈકી 40 વર્ષીય મહિલા તથા તેમની 9 વર્ષની ભાણીને ગઈકાલે રવિવારે કોરોનાના પ્રાથમિક લક્ષણો એવા તાવ, માથાનો દુખાવો, વિગેરે હોવાથી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આ બંનેનું કોરોના અંગેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ ગત્ રાત્રે પોઝિટિવ આવતા આ બન્ને માસી ભાણેજને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના પરિવારના અન્ય 15 સભ્યોને ધોરિવાવ શાળામાં રાખવામાં કવોરોન્ટાઈન આવ્યા છે.