Get The App

આજથી 147 વર્ષ પહેલા સર ટી. હોસ્પિટલનો પાયો નંખાયો હતો

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
આજથી 147 વર્ષ પહેલા સર ટી. હોસ્પિટલનો પાયો નંખાયો હતો 1 - image

- લાલ પથ્થરમાંથી રૂ. 5 લાખના ખર્ચે નિર્માણ પામેલી ઈમારત આજે પણ અડીખમ

- વર્ષ-1879 માં શરૂ થયેલું બાંધકામ 1892 માં પૂર્ણ થયું હતું, જે બાદ 1939 માં પણ હોસ્પિટલનું વિસ્તરણ કરાયું હતું

ભાવનગર : લાલ દવાખાનાના હુલામણાં નામથી ઓળખાતી ભાવનગર જિલ્લાની સૌથી મોટી સર ટી.હોસ્પિટલનો પાયો આજથી ૧૪૭ વર્ષ પૂર્વે મહારાજા તખ્તસિંહજીએ નાખ્યો હતો. વર્ષ-૧૮૭૯માં શરૂ થયેલું બાંધકામ વર્ષ-૧૮૯૨માં પૂર્ણ થયું હતું. જે બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ વર્ષ-૧૯૩૯માં ઈમારતનું વિસ્તરણ કર્યું હતું. રૂ.પાંચ લાખના ખર્ચે બનેલી આ ઈમારત આજે પણ અડીખમ ઉભી છે અને તેમાં હજારો દર્દીઓ સારવાર મેળવે છે.

આજથી ૧૪૭ વર્ષ પૂર્વે તા.૬ જાન્યુઆરી ૧૮૭૯ના રોજ મહારાજા તખ્તસિંહજીએ ભાવનગરની સૌથી મોટી સર ટી.હોસ્પિટલનો પાયો નાખ્યો હતો. શહેરની બહાર ઉંચાઈવાળા વિસ્તારમાં ભાવનગરની જનતાને સારી આરોગ્યની સુવિધા મળી રહે તેવા આશયથી સ્થાપવામાં આવેલી આ બિલ્ડિંગનું બાંધકામ વર્ષ-૧૮૭૯માં શરૂ થયું હતું અને તેની યાદી માટે હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં પ્લીન્થના ભાગમાં તક્તી લગાવવામાં આવી હતી, જે હાલ પણ મોજુદ છે. વર્ષ-૧૮૭૯માં શરૂ કરવામાં આવેલું હોસ્પિટલનું બાંધકામ વર્ષ-૧૮૯૨માં પૂર્ણ થયું હતું. જે બાદ જુની ઈમારતને અનુરૂપ થાય થાય તે રીતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ વર્ષ-૧૯૩૯માં આ હોસ્પિટલનું વિસ્તરણ કર્યું હતું. રૂ.પાંચ લાખના ખર્ચે બનેલી આ ઈમારત આજે પણ અડીખમ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૦૪માં આ જુની બિલ્ડીંગની સામે જ ઓપીડી અને વોર્ડ બ્લોકની સાત માળની નવી ઈમારત બનાવવામાં આવી હતી. પરંતુ તે બિલ્ડિંગ પણ બે દાયકામાં ઉપયોગ માટે જોખમી હોવાથી ડિમોલિશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની સામે જુની ઈમારત આશરે દોઢ સદી બાદ હજુ અડીખમ ઉભી છે અને ઉપયોગમાં પણ આવી રહી છે.

માત્ર ઈમારત નહી પણ ભાવનગરનો હેરિટેજ વારસો છે

સ્ટેટ એન્જીનિયર પ્રોક્ટર સિમ્સ દ્વારા લાલ પથ્થરમાંથી બાંધવામાં આવેલી હોસ્પિટલની ઈમારતની બન્ને બાજુએ અને વચ્ચેના ભાગમાં ઘુમ્મટ બનાવવામાં આવ્યા છે. જેમાં વચ્ચેનો ઘુમ્મટ જમીનથી ૧૦૫ ફુટ ઉંચો છે. દરેક વોર્ડમાં હવા-ઉજાસ રહે તે પ્રકારે ઈમારતની રચના કરવામાં આવી છે. આમ, હોસ્પિટલની ઈમારત ભાવનગરનો હેરિટેજ વારસો છે.