Gujarat

જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ફાયર તંત્ર વીજતંત્ર અને ૧૦૮ની ટીમ સ્ટેન્ડબાય માં રખાઇ]

By GS Team
4 Nov 20212 mins read
This article was originally published on 4 Nov 2021
જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ફાયર તંત્ર વીજતંત્ર અને ૧૦૮ની ટીમ સ્ટેન્ડબાય માં રખાઇ]

- ફાયર બ્રિગેડની 7 ટિમોના 45 જવાનો આગ અકસ્માતની ઘટના નિવારવા માટે સતત ખડે પગે રહેશે

- PGVCLના 288 કર્મચારી જ્યારે 108ના 90 જવાનોની આઠ ટીમ પણ સ્ટેન્ડબાય રહેશે

જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર

જામનગર શહેરમાં દિવાળીના પર્વને અનુલક્ષીને આગ અકસ્માત ની ઘટનાને નિવારવા માટે ઉપરાંત વીજ વિક્ષેપની ખામીને પહોંચી વળવા તેમજ વાહન અકસ્માત સહિતની ઘટનાઓ સમયે 108ની સેવા સહિતના તંત્રને સ્ટેન્ડબાય રાખવાના ભાગરૂપે પી.જી.વી.સી.એલ.ના 288 કર્મચારી ફાયર બ્રિગેડની 7 ટુકડીના 45 જવાનો અને 108ની જુદી-જુદી આઠ ટીમોના 90 જવાનો દિવાળીના તહેવારો દરમિયાન સ્ટેન્ડબાય માં રહેશે.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે આતશબાજી દરમિયાન તણખો પડવાના કારણે કોઈપણ પ્રકારની આગજનીની ઘટના બને તો તેને પહોંચી વળવા ના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે, અને જામનગર શહેરના જુદા જુદા ૭ વિસ્તારોમાં ફાયર ફાઇટરો ને સ્ટેનબાય માં મુકી દેવાયા છે. જે તમામ સ્થળો પર કુલ ૪૫ જેટલા જવાનોની નિમણૂક કરી દઇ તમામ કર્મચારીઓને રાઉન્ડ-ધક્લોક ફરજ પર મૂકી દેવાયા છે.

 જામનગરના લાલબંગલા સ્થિત મેઇન ફાયર સ્ટેશન, ઉપરાંત જનતા સોસાયટી ફાયર સ્ટેશન, બેડી ફાયર સ્ટેશન ઉપરાંત ડીકેવી સર્કલ, દરબારગઢ સર્કલ, ખંભાળિયા ગેઇટ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફાયર ફાઈટર સાથે ના જવાનોની ટીમ ને તૈનાત કરી દેવામાં આવી છે.

 વીજતંત્ર દ્વારા પણ દિવાળીના તહેવારો દરમિયાન રોશનીના ઝગમગાટ વચ્ચે વીજ વિક્ષેપ સર્જાય નહીં તેના ભાગરૂપે વિજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટર પેઢીના સ્ટાફ વગેરે સહિત ૨૮૮ કર્મચારીઓને સ્ટેન્ડબાય માં મુકી દેવામાં આવ્યા છે. અને રજાના દિવસો દરમિયાન પણ તમામ કર્મચારીઓ ફરજ બજાવશે.

 સાથોસાથ શહેર અને આસપાસના વિસ્તારમાં કોઇ પણ અકસ્માતની ઘટના બને જેમાં ૧૦૮ની ટીમ ની જરૂરિયાત ઊભી થાય, તો તેને પહોંચી વળવા માટે લોકોને સમયસર સારવાર મળી રહે તેના ભાગરૂપે ૧૦૮ની આઠ ટીમો ૯૦ જવાનોની સાથે સ્ટેન્ડબાયમાં ફરજ પર રહેશે. સમગ્ર દિવાળી અને બેસતા વર્ષ ના તહેવારો દરમિયાન વહીવટીતંત્ર એલર્ટ બનેલું છે.