38 દિવસના ક્વૉરન્ટાઇન પિરીયડમાં 6 વખત કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

By GS Team
7 Jul 20203 mins read
This article was originally published on 7 Jul 2020
38 દિવસના ક્વૉરન્ટાઇન પિરીયડમાં 6 વખત કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

FIRST PERSON

 હું વેલમોન્ટ ઇન્ડિયા કંપનીમાં માર્કેટિંગ મેનેજરની જોબ કરતો હતો અને છેલ્લે માર્ચ મહિનામાં એક સરસ નોકરીનું સપનું લઇ અબુધાબી ગયો હતો અને જતાની સાથે ગણતરીના દિવસોમાં જ કોરોના પોઝિટિવ થયો. મને શરીરમાં કોરોનાના કોઇ ખાસ લક્ષણો દેખાતા ન હતા પરંતુ યુ.એ.ઇ.( યુનાઇટેડ અરબ અમિરાત)ના રૃલ્સ મુજબ મને ક્વૉરન્ટાઇન માટે લઇ જવામાં આવ્યો. પહેલા શેખ ખલિફા હોસ્પિટલમાં લઇ જઇ ટેસ્ટ કરાવ્યો ફરીથી પોઝિટિવ આવતા મને કેમ્પમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો. ૩૮ દિવસના ક્વૉરન્ટાઇન પિરીયડ દરમિયાન ૬ વખત ટેસ્ટ પોઝિટિવ આવ્યા. જ્યારે ત્રીજો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે કોરોના વાઇરસને કારણે મારા ફેફસાંમાં પ્રોબ્લેમ જણાયો હું એક તરફ સુઇ નહતો શકતો. બીજી તરફ મારા ઘરમાં ૮૨ વર્ષના દાદી, માતા-પિતા, નાના ભાઇ-ભાભી, પત્ની અને ત્રણ વર્ષની બાળકી હોવાથી તેઓ પેનિક ન થઇ જાય તે માટે આ બાબત તેમનાથી છુપાવવાની હતી. ફેફસાંમાં મુશ્કેલી વધતા અમદાવાદના એક ડૉક્ટર સાથે કન્સલ્ટ કર્યું અને તેઓએ મને ઇન્ડિયા આવીને ટ્રીટમેન્ટ કરાવવા કહ્યું એટલે કવૉરન્ટાઇન પિરિયડ દરમિયાન જ મેં ઇન્ડિયા પરત ફરવા માટે મારી પાસે કયા વિકલ્પ છે તેની તપાસ ચાલુ કરી દીધી હતી કારણ કે તમામ ફ્લાઇટ્સ બંધ હતી.

38 દિવસ પછી કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલે મને ડિસ્ચાર્જ અપાયું. વંદે ભારત મિશન અંતર્ગત ટિકિટ મળવી મુશ્કેલ હતી, ટ્રાવેલ એજન્સી પાસેથી પણ ના સાંભળવા મળી હતી. અંતે એક એનજીઓ મારફતે ચાર્ટર્ડ પ્લેનમાં ઇન્ડિયા આવવાનું નક્કી કર્યું, જેમાં મારી સાથે અન્ય 175 લોકો હતા જેમની પરિસ્થિતિ મારાથી પણ વધારે ગંભીર હતી, જેમાં કેટલાકની માતા ઇન્ડિયામાં પોતાના દિકરાના આવવાની રાહ જોઇ આંસુ વહાવતી હતી તો કોઇ પિતાના અસ્થિઓ ૩ મહિનાથી પુત્રને હાથે વિસર્જનની રાહ જોઇ રહ્યા હતા. કેટલા ચાર મહિનાથી દુબઇમાં ફસાયેલા હતા. કેટલાક પરિવારો કે જે દુબઇમાં ફસાયેલા હતા તેઓએ હોટેલ બિલમાં પોતાની વર્ષોની બચત ખાલી ચૂક્યા હતા તો કેટલીક પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે હોસ્પિટલના બીલ અસહ્ય થઇ ગયા હતા તો એક ખલાસી ભાઇ 3 મહિનાથી દુબઇની ભયાનક ગરમીમાં પણ બોટમાં સુઇને રાત વિતાવતા હતા. આ તમામ લોકો જે પોતાના વતન પાછા આવવા વલખાં મારતા હતા તેઓને એમબીસી દ્વારા પ્લેન ઉપડવાની તારીખ 29 જુનની આપી હતી તે ડિલે થઇને ૪ જુલાઇ થઇ એમ પાંચ દિવસમાં આ તમામ લોકો એક પરિવાર બની ગયા હતા અને એકબીજાને મદદરૃપ થઇ રહ્યા હતા. દુબઇથી રસલખિમાંથી તમામ લોકોના કોવિડ ટેસ્ટ કરીને ચાર્ટડ પ્લેનમાં બેસાડવામાં આવ્યા અને તે પ્લેન રાત્રે 11 કલાકે અમદાવાદ લેન્ડ થયું અને પોતાની ધરતી પર પગ મૂકી રાહતનો શ્વાસ લીધો.

50 ડિગ્રી ગરમીમાં પણ 175 લોકોએ પીપીઇ કીટ પહેરી અને એરલિફ્ટ કર્યું 

પ્લેનમાં બેસતા પહેલા કોવિડ ટેસ્ટ, ટેમ્પરેચર ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ કરાવડાવ્યો હતો તે દરમિયાન કોઇને કોઇનો ચેપ ન લાગે તે માટે દરેકને પીપીઇ કિટ પહેરવાની હતી ત્યાં 50 ડિગ્રી ગરમીમાં પણ 175 લોકોએ પીપીઇ કિટ પહેરી અને એરલિફ્ટ કર્યું અને રાત્રે 11 વાગ્યે જ્યારે અમદાવાદ એરપોર્ટે ઉતર્યા ત્યારે ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યા અને તમામ મેડિકલ હિસ્ટ્રી જાણ્યા પછી ગુજરાત ગવર્મેન્ટ અંતર્ગત 7 દિવસ ક્વૉરન્ટાઇન થવા માટે હોટેલ સુધી મૂકવા આવ્યા ત્યાં સુધી પીપીઇ કિટ પહેરી રાખી હતી.