ગીર સોમનાથ પંથકમાં જળસંકટના એંધાણ: 24 વર્ષમાં ત્રીજીવાર હિરણ-2 ડેમ ખાલી, ઉદ્યોગોમાં 50% કાપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Somnath Region Faces Water Crisis: વેરાવળ, પ્રભાસ પાટણ પંથકમાં ઓણ સાલ ધાર્યો વરસાદ ન થતાં આગામી દિવસોમાં ગ્રામ્ય પંથકોમાં પાણીની અછત સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર માસનું પહેલા સપ્તાહ વિતી ગયું છે અને ચોમાસું અંત ભણી છે ત્યારે જો પાછોતરો વરસાદ નહીં વરસે તો ખેતી, પશુપાલન ક્ષેત્રે ગંભીર સ્થિતિની ભીતિ સેવાઈ રહી છે.
હિરણ-1 અને 2 ડેમનું પાણી સંભવતઃ 31મી ડિસેમ્બર સુધી ચાલશે
આજની સ્થિતિએ જોતા હિરણ-1માં 28.65 ટકા, હિરણ-2 ડેમમાં 20.92 ટકા, સિંગોડા ડેમ 36.86 ટકા, મચ્છુન્દ્રીમાં 47.92 ટકા અને રાવલમાં 96.38 ટકા જળસંગ્રહ રહ્યો છે. જેમાં હિરણ-2 ડેમનું પાણી સંભવતઃ 31મી ડિસેમ્બર સુધી ચાલે તેમ છે. જે માટે તંત્રે ઉદ્યોગો માટે ૫૦ ટકા પાણી કાપની આગોતરી જાણ કરી છે. ઊના-ગીર ગઢડા પાસે આવેલા મચ્છુન્દ્રી અને રાવલ ડેમનું પાણી 31મી જુલાઈ 2027 સુધી ચાલે તેમ છે. હિરણ-1 ડેમ 31મી ડિસેમ્બર 2026 સુધી સંભવતઃ ખેંચી શકે તેમ છે.
ઉદ્યોગોને 50 ટકા પાણી કાપની આગોતરી જાણ કરાઈ
1959માં બંધાયેલો કમલેશ્વર ડેમ અત્યાર સુધીમાં 27 વાર ઓવરફ્લો થયો છે, જે ઓણ સાલ છલકાયો નથી. છેલ્લે 2012માં ડેમ છલકાયો ન હતો. એ જ રીતે હિરણ-2 ડેમ 2002/3 અને 2012/13માં ઓવરફ્લો થયો ન હતો, હવે આ વર્ષે પણ એ જ સ્થિતિ છે. સાતમી સપ્ટેમ્બર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ જોઈએ તો, ગીર-ગઢડામાં 288 મિ.મી., તાલાલામાં 374 મિ.મી., પાટણ-વેરાવળમાં 617 મિ.મી., સુત્રાપાડામાં 666 મિ.મી., કોડીનારમાં 428 મિ.મી. અને ઊનામાં 514 મિ.મી. પડ્યો છે. જે ગત વર્ષની સાપેક્ષ ઘણો ઓછો છે.




